(એજન્સી) તા.ર૩
ઝમઝમનું પાણી દુનિયામાં સૌથી પવિત્ર મનાય છે. અનેક ધર્મ અને જાતિના લોકો આ પાણીનો ઉપયોગ કરે છે. ખ્રિસ્તી અને શીખ સમુદાયના લોકો પણ આ પાણીનો ઉપયોગ કરે છે અને પોતાની રક્ષા માટે આ પાણીનો ઉપયોગ કરે છે. મુસ્લિમો માટે તો આ પાણી સૌથી પવિત્ર છે. તેને ઝમઝમ જ કહેવાય છે. પવિત્ર મક્કા મસ્જિદમાં ૩૦ મીટર ઊંડા કૂવામાં આ પાણી મળી આવે છે અને મક્કા મસ્જિદથી ૨૦ મીટર પૂર્વમાં આવેલ છે. આ પાણી તમામ પ્રકારની શિફા ધરાવે છે અને તમામ મુસ્લિમો તેનો ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરે છે. આ ઝમઝમનું પાણી ત્યારે બહાર આવ્યું હતું જ્યારે પયગમ્બર ઈબ્રાહિમ સાહેબના દીકરા હઝરતે ઈસ્માઈલના માતા હાજરાબીબી મક્કામાં પાણી શોધી રહ્યા હતા. તેમણે પોતાના દીકરાને નીચે મૂકીને સફા અને મરવાની પહાડી પર સતત દોડ લગાવી હતી અને ત્યારબાદ જ આ ઝમઝમના પાણીનો ફૂવારો ફૂટી નીકળ્યો હતો અને ત્યારથી આજ સુધી આ પાણી નીકળી રહ્યું છે. આ પાણીનું અસલ નામ ઝોમઝોમ છે. જેને હાજરા બીબી રોકાઈ રોકાઈ જાઓ કહેતા હતા. વહેતા બંધ થાઓ કહેતા હતા. ઝોમ ઝોમનો અર્થ પણ એ જ થાય છે. જોકે હઝરતે ઈસ્માઈલને કારણે ઝમઝમનું પાણી જ નીકળવાનું શરૂ થયું ન હતું પણ સંપૂર્ણ મક્કા શરીફના લોકોનું જીવન પણ બદલાઇ ગયું હતું. જેવીજ ઝમઝમની શોધ થઈ તેની સાથે જ સમગ્ર વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ કૂવાઓ ખોદી કાઢવામાં આવ્યા પણ તેમાંથી મોટાભાગના કૂવા સુકાઇ ગયા છે કાં તો યુદ્ધને કારણે રેતીમાં પૂરાઈ ગયા છે. પવિત્ર હજ પર જનારા યાત્રીઓ પણ પોતાની સાથે આ પાણી પોતાના ઘરે લાવે છે અને આ પાણી આવી રીતે સમગ્ર દુનિયામાં પહોંચી રહ્યું છે. દર સેકન્ડે ઝમઝમના કૂવામાંથી ૧૧-૧૯ લીટર પાણી નીકળે છે.