પોલીસના ચુસ્તબંદોબસ્ત્ સાથે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૮
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં તંત્ર દ્વારા ફરી એકવાર ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં અમદાવાદ-સરખેજ રોડ પર આવેલ હજરત પીર જલાલુદ્દીન બાવા, ગેબનશાહ બાવા, બાલાપીર બાવા એમ ત્રણ દરગાહો રાત્રિના સમયે શહીદ કરી દેવામાં આવી છે. આ ડિમોલિશન પ્રક્રિયા દરમ્યાન પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જયારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જુહાપુરામાં બ્રિજ બનાવવા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી અંતર્ગત આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જુહાપુરા વિસ્તારમાં અગાઉ પણ રસ્તા પરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કેટલીક દુકાનો તોડી પાડવામાં આવી હતી. ત્યારે આજે તારીખ ૮ જુલાઈના રોજ મંગળવારે રાત્રિના સમયે અમદાવાદ- સરખેજ રોડ પર રસ્તાની બંને બાજુએ આવેલ દરગાહો શહીદ કરી દેવામાં આવી હતી જેમાં હજરત પીર જલાલુદ્દીન બાવા, ગેબનશાહ બાવા, બાલાપીર બાવા એમ ત્રણ દરગાહનો સમાવેશ થાય છે. આ ડિમોલિશન પ્રક્રિયા પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં કરવામાં આવી હતી. પોલીસ કાફલો, જેસીબી અને એએમસીના અધિકારીઓ હાજર હતા. ડિમોલિશન કરાયાના સ્થળે લોકો ભેગા થયા હતા. જયારે ટ્રાફિકજામની પણ સ્થિતિ જોવા મળી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે માટે રસ્તો ખુલ્લો કરવા આ ડિમોલિશન કામગીરી કરવામાં આવી છે.