(એજન્સી) તા.૬
પેલેસ્ટીની પ્રજા અનેક પ્રકારે ઇઝરાયેલનો ત્રાસ સહન કરી રહી છે અને અટકાયતમાં હોવા છતાં પેલેસ્ટીની અટકાયતીઓના મૃત્યુનું પ્રમાણ સતત વધતું રહ્યું છે અને એનાદોલુ એજન્સીએ જણાવ્યું છે કે ગુરૂવારે વધુ એક પેલેસ્ટીની અટકાયતીનું ઇઝરાયેલની જેલમાં મોત થયું હતું. ૨૪ કલાકમાં આ બીજા અટકાયતીનું મોત થયું છે. પેલેસ્ટીની પ્રિઝનલ સોસાયટી અને કમિશન ઓફ ડીટેઇની અફેર્સના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે બે નવેમ્બરમાં જ દક્ષિણ ઇઝરાયેલની નેગેવ જેલમાંથી તેલ અવીવ લઈ જવાયેલા ૪૨ વર્ષના નાગરિક આલા મારવાન હમઝા અલ મહાલવીનું ગુરૂવારે કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. તેના એક દિવસ પહેલા વેસ્ટ બેંકમાંથી પકડી જવાયેલા વલીદ હુસેન અલી નામના ૪૫ વર્ષના નાગરિકનું પણ કેદખાનામાં મૃત્યુ થયું હતું. તેને પણ પૂછપરછ માટે જેલમાં લઈ જવાયા બાદ તેને મૃત જાહેર કરાયો હતો. ધરપકડ પહેલા અટકાયતી હાલ માહલ્વીને કોઈ જ ગંભીર બીમારી નહોતી એને એક આંખમાં તકલીફ હતી એ સિવાય તેને કોઈ માંદગી નહોતી. ગાઝામાં તેના પિતાની ઇઝરાયેલી લશ્કર દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ એ જ દિવસે હમઝાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સાથે બીજા ચારને પણ ઉપાડી જવા હતા. એક અહેવાલ મુજબ ઇઝરાયેલની જેલોમાં ૧૦,૦૦૦થી વધુ નાગરિકો છે પરંતુ એમની કોઈ ખબર આપવામાં આવતી નથી.