ઈરાનમાં અસ્થિરતા અને સંઘર્ષને કારણે ભારતની ટ્રાવેલ એડવાઈઝરી : નાગરિકોને મુસાફરી મુલતવી રાખવા અને દેશ છોડવા વિચારણા કરવા સૂચના

ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ

(એજન્સી) નવી દિલ્હી/તેહરાન, તા.ર૦
ઈરાનમાં વધતી જતી અસ્થિરતા અને તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ઈરાન માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી સુરક્ષાની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી ઈરાનની તમામ મુસાફરી મુલતવી રાખવી. તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે પણ હાલમાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને ઉપલબ્ધ વ્યાપારીફ્લાઈટ્‌સ (Commercial Flights) દ્વારા કામચલાઉ ધોરણે દેશ છોડવા અંગે વિચારણા કરવા જણાવ્યું છે.દૂતાવાસ દ્વારા અત્યંત સાવધાની રાખવાની સલાહ : સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, “તાજેતરના દિવસોમાં ઈરાનમાં અસ્થિરતા અને સંઘર્ષના સ્તરમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે ભારતીય નાગરિકોએ સતર્ક રહેવું જરૂરી છે.” જે નાગરિકો કોઈપણ કારણસર ઈરાનની મુસાફરી કરવા ઈચ્છતા હોય, તેમને હાલ માટે પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી છે. જે ભારતીયો ઈરાનમાં રોકાઈ રહેવાનું પસંદ કરે છે, તેમને “સૌથી ઉચ્ચ સ્તરની સાવધાની” રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું કડક પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોએ સમાચારો પર સતત નજર રાખવી જોઈએ જેથી તેઓ પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ રહે. વિશેષ કરીને, દેશના દક્ષિણ કિનારા જેવા વિસ્તારો કે જ્યાં લશ્કરી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે છે, ત્યાં જવાનું ટાળવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન અને હેલ્પલાઈન અંગે માહિતી : દૂતાવાસે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક ધોરણે મિશન સાથે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે. નાગરિકોને લેટેસ્ટ અપડેટ્‌સ માટે દૂતાવાસની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નિયમિતપણે મોનિટર કરવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની સહાયની જરૂર હોય તો તે માટે દૂતાવાસે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો પણ જાહેર કર્યા છે.પ્રાદેશિક તણાવમાં વધારો : આ એડવાઈઝરી તાજેતરના પ્રાદેશિક તણાવ અને વધેલી લશ્કરી પ્રવૃત્તિઓને પગલે જારી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તાજેતરના દિવસોમાં અમેરિકા દ્વારા ઈરાનના બ્રિજ, પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ્‌સ અને વિદ્યુત સુવિધાઓને લક્ષ્ય બનાવવામાં આવી છે, જ્યારે બીજી તરફ તેહરાન દ્વારા પશ્ચિમ એશિયામાં અમેરિકાના સાથી દેશો પર વળતા હુમલા કરવામાં આવ્યા છે. પશ્ચિમ એશિયામાં તણાવની અગાઉની સ્થિતિઓમાં પણ ભારતે આવી જ સાવચેતીભરી એડવાઈઝરી જારી કરી હતી અને પોતાના નાગરિકોને દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks