ઉત્તરપ્રદેશના મેરઠમાં ‘આઈ લવ પયગમ્બર મુહમ્મદ(સ.અ.વ.)’ના પોસ્ટર લગાવવા બદલ પાંચ લોકોની ધરપકડ

(એજન્સી) તા.૫
ઉત્તરપ્રદેશના માવાના શહેરમાં પોલીસે ‘આઈ લવ મુહમ્મદ’ લખેલું પોસ્ટર લગાવવાના કથિત કૃત્ય બદલ કેસ નોંધીને પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે શહેરના મુખ્ય આંતરછેદ (મેઇન ઇન્ટરસેક્શન) પર બની હતી. પોસ્ટરના પ્રદર્શન સામે કેટલાક સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ શનિવારે સવારે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ‘ધ હિન્દુ’ અખબારના પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવ્યા અનુસાર, માવાનામાં એક અગ્રણી સ્થળે આ પોસ્ટર કોઈપણ પરવાનગી વિના લગાવવામાં આવ્યું હતું. તણાવ વધતા, પોલીસે પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે ત્વરિત હસ્તક્ષેપ કરીને પોસ્ટરો દૂર કર્યા હતા.
માવાનાના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) પૂનમ જાડોનએ જણાવ્યું કે, આઉટપોસ્ટ ઇન્ચાર્જ મનોજ શર્મા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ-ઇદ્રિશ, તસલીમ, રિહાન, ગુલફામ અને હારૂન-પર ભારતીય ન્યાય સંહિતા (BNS))ની કલમ ૩૫૩ હેઠળ “જાહેર ગેરવ્યવસ્થાને અનુકૂળ નિવેદનો કરવા” બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
SHOએ કહ્યું, ‘તમામ પાંચ વ્યક્તિઓની કસ્ટડી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. આ કૃત્યમાં અન્ય કોઈ પણ સામેલ જણાશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’આ વિવાદ બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ દળોને સમગ્ર શહેરમાં સાવચેતીના પગલાં તરીકે તૈનાત કરવામાં આવ્યા છે. અફવાઓ અથવા સાંપ્રદાયિક તણાવ ફેલાતો અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.જિલ્લા વહીવટીતંત્રે રહેવાસીઓને શાંતિ જાળવવા, ખોટી માહિતી ન ફેલાવવા અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે સત્તાવાળાઓને સહકાર આપવાની અપીલ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, માવાનાની અંદર અને આસપાસના સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts