
ઔરંગઝેબે અલ્હાબાદ, બનારસ, ઉજ્જૈન, ચિત્રકુટના મંદિરો ઉપરાંત બીજા ઘણા મંદિરોમાં દાન આપ્યું હતું અને તેના દસ્તાવેજી પુરાવા હાલ પણ ઉપલબ્ધ છે
ભારત પર મુગલોએ લગભગ ૩પ૦ વર્ષ શાસન કર્યું છે. જેમાંથી ફક્ત બે બાદશાહ અકબર અને ઔરંગઝેબે ૧૦૧ વર્ષ રાજ કર્યું. અકબરનો સમયગાળો ૧પપ૬-૧૬૦૬ હતો જ્યારે ઔરંગઝેબનો સમયગાળો ૧૬પ૬-૧૭૦૭ હતો. મોગલકાળમાં જેને સૌથી વધારે પ્રસિદ્ધિ મળી. તે અકબર હતા. અકબરને મહાન અને ધર્મનિરપેક્ષ રાજા કહેવામાં આવતા હતા જ્યારે ઔરંગઝેબને રૂઢિવાદી અસહિષ્ણુ અને કટ્ટરવાદી બાદશાહ તરીકે ચિતરવામાં આવે છે. જ્યારે કે ઈતિહાસ આનાથી કંઈક અલગ છે. ઈતિહાસકારોએ પણ ઔરંગઝેબ સાથે ન્યાય કર્યો નથી. એક બાદશાહ જેણે પ૦ વર્ષ સુધી રાજ કર્યું. શું તે ક્રૂર, જાલીમ બાદશાહ હોઈ શકે ? અમે તમને ઐતિહાસિક તથ્યો દ્વારા બતાવીશું કે ઔરંગઝેબ અકબર કરતાં વધારે સેક્યુલર અને ધર્મનિરપેક્ષ હતા.
સૌથી પહેલા આપણે ઔરંગઝેબના ચરિત્રને જોઈએ છે. વિશ્વનો દરેક ઈતિહાસકાર પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ એ માને છે કે ઔરંગઝેબ ખૂબ જ સાદું જીવન જીવતા હતા. ખજાનાના પૈસા પોતાના માટે ખર્ચ કરતાં ન હતા. તેઓ પોતાના હાથથી કુર્આનશરીફ લખતા હતા અને તેને વેચી પોતાનો વધારાનો ખર્ચ પૂરો કરતા હતા. જો તેઓ ઈચ્છતા તો તે પણ શાહી જીવન જીવી શકતા હતા. ગાદી ઉપર બેસતા જ તેમણે દરબારમાંથી સિંગર, નર્તકી અને મ્યુઝીશિયનને કાઢી મૂક્યા. તેમણે રોજ સવારે રાજાના દર્શન અને આશીર્વાદ પ્રથાને સમાપ્ત કરી. દરબારના ખર્ચમાં ઘટાડો કર્યો. ઔરંગઝેબ પહેલાં મહેલમાં હજારો દાસ, દાસીઓ સેવા માટે રહેતી હતી. ઔરંગઝેબે તેમાં ઘટાડો કર્યો. ઔરંગઝેબ ખજાનાને પ્રજાની અમાનત સમજતા હતા. તેમણે પોતાના પિતા શાહજહાંને પણ કહ્યું કે તમે ખજાનાનો દુરૂપયોગ કર્યો છે. જેના માટે પૂરી જિંદગી કેદમાં વિતાવવી પડશે. જ્યારે અકબરે ખજાનાનો દુરૂપયોગ કરી શાહી રાજ કર્યું.
અકબરની એટલા માટે પ્રશંસા કરવામાં આવે છે કે તેમણે નવો ધર્મ દીને ઈલાહી શરૂ કર્યો. જેનો પ્રારંભ ૧પ૮રમાં બાદશાહ અકબરે કર્યો હતો. આ ધર્મમાં હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન, પારસી તથા ઈસાઈ ધર્મની મુખ્ય મુખ્ય વાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આનો મૂળ આધાર એકેશ્વરવાદ હતો. અકબરે જાહેર કરેલો આ નવો ધર્મ બધાને માનવો પડતો હતો. દરબારમાં જેટલા પણ સરદાર, વજીર બધાને ધર્મ અપનાવવો પડતો હતો.
મતલબ તમારે તમારો ધર્મ છોડવો પડશે નહીંતર તમે દરબારમાં આવી શકો નહીં. ઔરંગઝેબના સમયમાં આવું કોઈ બંધન હતું નહીં. તમે તમારો ધર્મ પાળી શકો છો, તમને પૂરી આઝાદી છે. હવે તમે પોતે જુઓ ઔરંગઝેબ સેક્યુલર હતા કે અકબર.
હવે આપણે અકબર અને ઔરંગઝેબના દરબારની તુલના કરીએ છે. અકબરના દરબારમાં કુલ હિન્દુ સરદાર ૧૬ ટકા હતા. ઔરંગઝેબના દરબારમાં આની સંખ્યા ૧૯ ટકા હતી. ઔરંગઝેબના દરબારમાં જસવંતસિંહ અને જયાસિંહને તંત્રમાં સૌથી ઊંચો દરજ્જો પ્રાપ્ત હતો. અમુક મુસ્લિમોએ આનો વિરોધ કર્યો પણ બાદશાહે કહ્યું કે નહીં આ પોસ્ટ માટે તેઓ પરફેક્ટ ઉમેદવાર છે. શાહજહાંના દરબારમાં અધિકારીની ટકાવારી ર૪.પ ટકા હતી જ્યારે ઔરંગઝેબના સમયમાં આ વધીને ૩૩ ટકા થઈ ગઈ.
હિન્દુ ઈતિહાસકાર શર્માના અનુસાર અકબરના દરબારમાં ફક્ત ૧૪ હિન્દુ અધિકારી હતા. જ્યારે કે ઔરંગઝેબના દરબારમાં તેમની સંખ્યા ૧૪૮ સુધી પહોંચે છે. ઔરંગઝેબે પોતાની સેનામાં ઘણા બધા હિન્દુને સેનાપતિ બનાવ્યા હતા. જેઓ ફોઝની કમાન્ડ સંભાળતા હતા. તેમાંથી અમુક નામ છે ભીમસિંહ, ઈન્દ્રાસિંહ, અચ્છલાજી, આરૂજી અને પ્રેમદીવાનસિંહ. જો ઔરંગઝેબ હિન્દુઓ સાથે દુશ્મની રાખતા તો તેમને આટલા ઊંચા પદો પર નિયુક્ત કેમ કરતા ખાસ કરીને સેનામાં, તેમને ડર નહીં હોય કે હિન્દુ અમારી વિરૂદ્ધ વિદ્રોહ કરી શકે છે.
ઔરંગઝેબને ઈતિહાસમાં સૌથી વધારે મંદિરના વિરોધીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. જ્યારે કે હકીકત આનાથી બિલકુલ અલગ છે. શોમેશ્વર નત મહાદેવ મંદિર-અલ્હાબાદ જગનમ બડી શિવમંદિર-બનારસ, ઉન્નદ મંદિર-ગૌહાટી વગેરે મંદિરોની સહાયતાના દસ્તાવેજ હજુ સુધી ઉપસ્થિત છે. મંદિરોના રક્ષણ અને બીજા ખર્ચ માટે દાન આપવાની પરંપરા ઔરંગઝેબના શાસનમાં પણ ચાલુ હતી. ઔરંગઝેબના સમયના એવા ઘણા દસ્તાવેજ છે જેનાથી જાણી શકાય છે કે ઔરંગઝેબે અલ્હાબાદ, બનારસ, ઉજ્જૈન, ચિત્રકુટના મંદિરો ઉપરાંત બીજા ઘણા મંદિરોને દાન આપ્યું છે. તમારે વિશમ્ભરનાથ પાંડેના પુસ્તકને જોવું પડશે. જેમાં દસ્તાવેજની કોપી મળશે. જો તમે ચિત્રકુટ બાલાધારના મંદિર બાલાજી અને વિષ્ણુ મંદિર જશો તો ત્યાં હજુ પણ મંદિરમાં ઔરંગઝેબ દ્વારા સહાયતા કરવા બદલ હજુ સુધી તેમાં પથ્થર લાગેલા છે જ્યાં સુધી મંદિર તોડવાનો આરોપ છે તો તે મંદિરને તોડવામાં આવ્યું જ્યાં શાસન વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવતું હતું અથવા ખોટું કામ થતું હતું. તેવા મંદિરોને તોડવામાં આવ્યા જ્યાં દીવાલો પર મૈથુન કરતી મૂર્તિઓ હતી અથવા પૂરા મંદિરમાં કામસૂત્રના સ્ટેચ્યુ બનેલા હતા. તમે આજે પણ ખજુરાહોના ઘણા મંદિરમાં પોતાના પરિવાર સાથે જઈ શકતા નથી. ઔરંગઝેબની ઉપર ઝઝિયા કર લગાવવાનો આરોપ લગાવવામાં આવે છે. તમારી જાણકારી ખાતર ઝઝિયા કર ઔરંગઝેબ પહેલાના બાદશાહોએ પણ લગાવ્યો હતોે આ કર વિશે એવો હોબાળો મચાવવામાં આવે છે. જાણે બહુ મોટો કર હતો. ઝઝિયા કર ફક્ત યુવાનોને આપવો પડતો હતો. જે કમાવવાને લાયક હોય. આ કર મહિલા, બાળકો કે વૃદ્ધો પર લગાવવામાં આવતો ન હતો. વળી એ કર બિનમુસ્લિમો પાસેથી એટલે લેવાતો હતો કે, મુસ્લિમો પાસેથી જકાતના રૂપમાં ટેક્ષ લેવાતો હતો. પણ એ કહેવામાં નથી આવતું કે ઔરંગઝેબે બીજા અનેક કર માફ કરી દીધા હતા. હવે તમે પોતે ઐતિહાસિક તથ્યને જોઈ નિર્ણય કરો કે ઔરંગઝેબ ધર્મનિરપેક્ષ હતા કે નહીં. – અફઝલખાન