કન્નુર ડેન્ટલ વિદ્યાર્થીનું મૃત્યુ : દલિત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા હડતાલથી કેરળના કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું

દલિત સંગઠનોએ નીતિન રાજના મૃત્યુ માટે જવાબદાર લોકોની ધરપકડ, રોહિત વેમુલા કાયદાનો અમલ અને તેમના પરિવારને રૂા.૧૦ કરોડનું નાણાકીય વળતર આપવાની માંગ કરી છે

(એજન્સી) તા.૨૮
જસ્ટિસ ફોર નીતિન રાજ એક્શન કાઉન્સિલ દ્વારા અને અનેક દલિત અને આદિવાસી સંગઠનોના સમર્થનથી, કોલેજના વિદ્યાર્થીની કથિત જાતિ દુર્વ્યવહાર બાદ આત્મહત્યા અંગે ન્યાયની માંગણી સાથે, મંગળવારે કેરળના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. કન્નુર જિલ્લાના અંકારકાંડીમાં એક ખાનગી ડેન્ટલ કોલેજમાં બીડીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી નીતિન રાજનું ૧૦ એપ્રિલના રોજ ઇમારત પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું અને તેના પરિવારે શિક્ષણ સ્ટાફ પર જાતિ આધારિત દુર્વ્યવહાર અને ભેદભાવ સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. પોલીસે બે ફેકલ્ટી સભ્યો સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપ અને એસસી/એસટી (અત્યાચાર નિવારણ) કાયદાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. દલિત સંગઠનોએ નીતિન રાજના મૃત્યુ માટે જવાબદાર લોકોની ધરપકડ, રોહિત વેમુલા કાયદાનો અમલ અને પીડિત પરિવારને રૂા.૧૦ કરોડનું નાણાકીય વળતર આપવાની માંગ કરી છે. સવારે ૬ વાગ્યે શરૂ થયેલા આ હડતાલમાં તિરુવનંતપુરમના કેટલાક ભાગોમાં, જેમાં થમ્પાનૂર, નેદુમનગઢ અને કાનીયાપુરમ હાઇવેનો સમાવેશ થાય છે, વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા. કન્નુરમાં પણ વિરોધ પ્રદર્શનો થયા અને હડતાલ સમર્થકોએ વાહનો રોક્યા. પ્રદર્શનોકારોએ રસ્તા રોકો કર્યા, જેના કારણે ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો અને મુસાફરોને વિલંબ થયો. કેટલીક જગ્યાએ, વિરોધીઓએ બસો સહિતના વાહનોને ચાલતા અટકાવવાનો પ્રયાસ કર્યો. અન્ય કિસ્સાઓમાં, હોસ્પિટલની જરૂરિયાત માટે મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી તબીબી રેકોર્ડ માંગવામાં આવ્યા હતા. અનેક સ્થળોએ, પોલીસે દરમિયાનગીરી કરી અને ટ્રાફિક જામ હળવો કરવા અને અવરજવર પુનઃસ્થાપિત કરવા માટે વિરોધીઓને દૂર કર્યા. આ દરમિયાન, કોલ્લમ જિલ્લામાં, કોલ્લમ એમસી રોડ પર વાહનો રોકી દેવામાં આવ્યા હતા. કોટ્ટારક્કરામાં, હડતાલને ટેકો આપનારાઓ દ્વારા કેટલીક દુકાનો બંધ કરવામાં આવી હતી. જોકે, અન્ય ભાગોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો, કેટલાક વેપારીઓએ તેમની દુકાનો ખુલ્લી રાખી અને ખાનગી બસ સંચાલકોના કેટલાક જૂથો સેવાઓ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાજ્યના વિવિધ ભાગોમાંથી વિક્ષેપના છૂટાછવાયા બનાવો નોંધાતા અધિકારીઓએ લોકોને મુસાફરી કરતી વખતે સાવચેત રહેવા વિનંતી કરી છે. હડતાળને ટેકો આપતા ૫૨ જેટલા સંગઠનોએ સોમવારે જણાવ્યું હતું કે કોઈપણ વાહનોને બળજબરીથી રોકવામાં આવશે નહીં અને તમામ આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવશે, સાથે જ વિરોધ પ્રદર્શન માટે જાહેર સહયોગની વિનંતી કરી હતી. હડતાળને ટેકો આપતી સંસ્થાઓમાંની એક, કેરળ પિનોક્કા સમુદયા મુન્નાની (KPSM)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસે તપાસમાં ઉદાસીનતા દાખવી છે અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. KPSM રાજ્ય પ્રમુખ કે વી પદ્મનાભન અને મહામંત્રી એસ અનવરે આરોપ લગાવ્યો હતો કે રાજના મૃત્યુની તપાસને જાણી જોઈને ખોટી દિશામાં અને વિલંબમાં મૂકવામાં આવી રહી છે. જ્યારે પરિવારે ભારપૂર્વક આરોપ લગાવ્યો છે કે ફેકલ્ટી સભ્યો દ્વારા જાતિગત ભેદભાવ અને માનસિક ઉત્પીડનને કારણે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું, ત્યારે પોલીસ તપાસને લોન એપ ઉધારી તરફ વાળવાનો પ્રયાસ કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. સંગઠને વધુમાં દાવો કર્યો હતો કે આ વાસ્તવિક આરોપીઓને બચાવવા માટે એક સુનિયોજિત પગલું હતું.KPSMસ્એ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપી શિક્ષકોની ધરપકડમાં જાણી જોઈને વિલંબ કરીને, પોલીસે તેમને આગોતરા જામીન મેળવવામાં મદદ કરી. તેઓએ જણાવ્યું હતું કે હાલની પોલીસ તપાસમાં કોઈ વિશ્વાસ નથી અને માંગ કરી હતી કે કેસ વહેલી તકે સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts