(એજન્સી) તા.૨
સ્થાનિક અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ઑકટોબર ૨૦૨૩થી ઇઝરાયેલી હુમલામાં લગભગ ૧,૧૦૦ પેલેસ્ટીની બાળકો મૃત્યુ પામ્યા છે. ગાઝા સ્થિત સરકારી મીડિયા ઓફિસે બુધવારે જણાવ્યું કે ઇઝરાયેલના હુમલા દરમિયાન ઓછામાં ઓછા ૧,૦૯૧ બાળકો મૃત્યુ પામ્યા છે, જેમાં ૨૩૮ નવજાત બાળકોનો સમાવેશ થાય છે. યુએન સુરક્ષા પરિષદના ઠરાવમાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગણી હોવા છતાં ઇઝરાયેલે ૭ ઓકટોબર ૨૦૨૩થી ગાઝા પર નરસંહાર યુદ્ધ શરૂ કર્યું છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્યારથી ૪૫,૫૫૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે અને ૧,૦૮,૩૦૦થી વધુ ઘાયલ થયા છે. તેલ અવીવે પેલેસ્ટીની પ્રદેશો પર ગૂંગળામણજનક નાકાબંધી પણ લાદી છે, જેનાથી આ પ્રદેશની સમગ્ર વસ્તી દુષ્કાળની અણી પર આવી ગઈ છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે, ઇઝરાયેલી નાકાબંધીને કારણે ઠંડીના સંપર્કમાં આવતા છ શિશુઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. નવેમ્બરમાં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ માટે ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરૂદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ઈઝરાયેલને ઈન્ક્લેવ પરના યુદ્ધ માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.