આ દૂષિત પાણી પીધા પછી ૧૨ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા અને તેમાંથી ૧૧ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. મુખ્ય આરોપી શ્રી રામ સેનાના નેતા સાગર પાટીલ સહિત આ કાવતરામાં સામેલ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે
(એજન્સી) બેલાગાવી, તા.૪
એક ચોંકાવનારી ઘટનામાં, પોલીસે પુષ્ટિ આપી છે કે શ્રી રામ સેનાના નેતાએ સૌંદત્તી તાલુકાના હુલિકટ્ટીમાં એક સરકારી શાળાના પીવાના પાણીની ટાંકીમાં ઇરાદાપૂર્વક ઝેર ભેળવ્યું હતું, જેના કારણે ૧૨ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ હુમલો ધાર્મિક પૂર્વગ્રહથી પ્રેરિત હતો જેના કારણે શાળાના મુખ્ય શિક્ષક, જે એક મુસ્લિમ છે, તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી શ્રી રામ સેનાના નેતા સાગર પાટીલ સહિત કાવતરામાં સામેલ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બે અઠવાડિયા પહેલા હુલિકટ્ટીની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં બની હતી, જેમાં ૪૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ૧૩ વર્ષથી સેવા આપતા મુખ્ય શિક્ષક સુલેમાન ગોરીનાયકને આ કાવતરાનો નિશાન બનાવવામાં આવ્યો હતો. એક પત્રકાર પરિષદમાં પોલીસ અધિક્ષક ડૉ. ભીમાશંકર ગુલેડે જણાવ્યું હતું કે, ‘હુલિકટ્ટી ગામના સાગર પાટીલે મુખ્ય શિક્ષકને ફક્ત તેમના ધર્મ (મુસ્લિમ)ના કારણે હટાવવાનું કાવતરૂં ઘડ્યું હતું. આ યોજનાને અમલમાં મૂકવા માટે, તેમણે બીજા એક ગ્રામીણ, કૃષ્ણ મદારને, જો તેઓ સહકાર નહીં આપે તો તેમના આંતરજાતિય સંબંધોનો ખુલાસો કરવાની ધમકી આપીને દબાણ કર્યું હતું. આ દબાણ હેઠળ, કૃષ્ણાએ તેના સાથી નાગનગૌડા પાટીલ સાથે મળીને મુનાવલ્લી શહેરમાંથી જંતુનાશક દવા ખરીદી હતી. તેઓએ તેને સોફ્ટ ડ્રિંકની બોટલમાં ભેળવી દીધી અને શાળાના એક સગીર વિદ્યાર્થીને ૫૦૦ રૂપિયા નાસ્તો અને ચોકલેટ આપીને શાળાના પાણીની ટાંકીમાં સામગ્રી રેડી દીધી હતી. વિદ્યાર્થીએ સૂચના મુજબ આ કૃત્ય કર્યું હતું. ૧૪ જુલાઈના રોજ, દૂષિત પાણી પીધા પછી ૧૨ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા અને તેમાંથી ૧૧ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી. ત્યારથી બધા સ્વસ્થ થઈ ગયા છે. એસપી ગુલેડે પુષ્ટિ આપી કે આરોપીઓ, સાગર પાટિલ, કૃષ્ણા મદાર અને નાગનગૌડા પાટિલની ધરપકડ કરવામાં આવી છે. સૌંદત્તી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.