કોડીનાર, તા.૨
કોડીનારના બાહોશ અને પ્રજાના મિત્ર તરીકે લોકપ્રિય પી.આઈ. જી.કે.ભરવાડની અમદાવાદ ખાતે બદલી થતાં આ બદલીના હુકમનો કોડીનાર તાલુકામાં ઠેર-ઠેર ભારે વિરોધ થઈ રહ્યો છે અને લોકોમાં નિરાશા સાથે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. ત્યારે કોડીનારની લગભગ તમામ સહકારી સંસ્થાઓએ પ્રજાનો મિજાજ પારખીકર્મનિષ્ઠ અધિકારી પી.આઈ. ભરવાડની બદલી રોકાવા માટે મેદાને પડી ગૃહમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી તાકીદે પી.આઈ. ભરવાડની બદલીનો હુકમ રદ્દ કરવા માગણી કરી છે. કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ, નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, નાગરીક સહકારી બેંક, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખી કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ કોડીનાર પોલીસ સ્ટેશનનું ઈન્ચાર્જ પી.આઈ.થી લાંબો સમય ગાડુ ચલાવ્યા બાદ ગત નવેમ્બરમાં જવાબદાર અને પ્રમાણિક અધિકારી તરીકે પી.આઈ. જી.કે.ભરવાડની નિમણૂક થયા બાદ શહેર અને તાલુકામાં કાયદો વ્યવસ્થા સારી રીતે ચાલી રહ્યો છે. ત્યારે જ બહુ ટૂંકાગાળામાં કર્મનિષ્ઠ અધિકારીની અમદાવાદ ખાતે બદલી થતાં આ બદલી તાત્કાલીક ધોરણે અટકાવવા અને પી.આઈ. જી.કે.ભરવાડને કોડીનાર પોલીસ સ્ટેશનનો ચાર્જ ન છોડવા આદેશ કરવા પત્રમાં માગણી કરવામાં આવી છે. કોડીનારના તમામ સમાજોને એક સૂત્રે રાખી, લોકોમાં સાચા રક્ષક અને પ્રજાના મિત્ર તરીકેની છાપ ઊભી કરનાર પી.આઈ. ભરવાડની અમદાવાદ બદલી થતાં તેમની બદલીનો કોડીનારના દરેક સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને આ બદલી અટકાવવા પ્રજાજનો લડી લેવાના મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોડીનાર સમાજ જીવનની જરૂરિયાત અને ક્રાઈમ રેટના દ્રષ્ટિકોણને ધ્યાને રાખી પી.આઈ. જી.કે.ભરવાડની બદલી તાત્કાલિક અસરથી રદ્દ કરવા જાણકારો જણાવી રહ્યા છે.