
તડને ફડ – અઝીન કિરમાની
થોડા દિવસ પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતે પોતાનું મૌન તોડીને ગૌરક્ષકો દ્વારા કરવામાં આવતા અત્યાચાર વિશે વાત કરી ત્યારે તેમના શાશ્વત મૌન કરતાં તેમની ટિપ્પણીઓ (ગૌરક્ષક જૂથો દ્વારા કરવામાં આવતા હુમલાઓ માટે તેઓએ ફક્ત દલિત ‘ભાઈઓ’નો ઉલ્લેખ કર્યો હતો અને મુસ્લિમોનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું, હકીકતમાં દલિતો કરતાં મુસ્લિમોને ગાયના રક્ષણના નામે ભોગ બનાવવામાં આવ્યા છે) એ વાત માત્ર ઉદાસીન કરી મૂકે તેવી ન હતી પણ ખૂબ જ ખલેલ પહોંચાડનાર હતી.
હૈદરાબાદ ખાતે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું “જો તમને કોઇ સમસ્યા હોય અને જો તમે હુમલો કરવા ઇચ્છતા હો તો તમે મારા પર હુમલો કરો પણ મારા દલિત ભાઈઓ પર હુમલો ન કરો. જો તમે ગોળી મારવા ઇચ્છતા હો તો મને ગોળી મારો પણ મારા દલિત ભાઈઓને શૂટ ન કરો. હવે આ રમત બંધ કરવી જોઈએ.”
મોદી એક ચતુર રાજકારણી છે. તેઓએ એક કાંકરે બે પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે. દલિત-મુસ્લિમ એકતા કે જે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે તેને તોડવા અને દલિતોને માનવી લેવાનો પ્રયાસ કર્યો છે. જો બે અસંતુષ્ટ સમુદાયો એકસાથે એકઠા થાય તો કોઈપણ શાસક પક્ષ માટે એ દુઃસ્વપ્ન બની શકે છે અને મુસ્લિમો અને દલિતો સાથે મળી જાય તો એ ભાજપને માટે દુઃસ્વપ્ન બની શકે છે. ગૌરક્ષકો દ્વારા આચરવામાં આવતા અત્યાચાર માટે મોદીએ માત્ર પોતાની પસંદગી સમુદાયની નિંદા કરતાં ભારતના અસહાય મુસ્લિમ સમુદાયને એ વાત તેમના મૌન કરતાં વધુ ખતરનાક લાગી છે. નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં મુસ્લિમોને બાકાત રાખીને એક રાજકારણ રમવાનો સત્તાવાર રીતે પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં પશુઓના ચામડાના વેપાર સાથે જોડાયેલ લોકો પર હુમલો કરવાને પગલે દલિત સમુદાયે શેરીઓમાંથી મૃત ઢોર ઉપાડવાનો ઇન્કાર કર્યો હતો. તેમના આ વિરોધને વેગ મળ્યો હતો માટે આરએસએસ દ્વારા પણ સત્તાવાર રીતે આ હુમલાની નિંદા કરવામાં આવી હતી (ભલેને આરએસએસ દ્વારા અગાઉ એક લેખમાં અખલાકની હત્યાને વાજબી ઠેરવી હતી) અને છેવટે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું. ગુજરાતમાં પોતાના પક્ષને નુકસાન થતું અટકાવવા માટે અને સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે અભિનય કરીને અને યુપીની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે દલિતોનો આધાર મેળવવા માટે જ મોદીએ આ ગૌરક્ષકોને “અસામાજીક તત્વો” કહ્યા હતા અને “દલિત ભાઈઓ” પર હુમલા કરવાને બદલે પોતાની જાત પર હુમલો કરવા અને દલિતોને ગોળીએ દેવાને બદલે પોતાને ગોળી મારવા માટે કહ્યું હતું. (એ અન્ય બાબત છે કે હજુ સુધી કોઈ દલિતને ગોળી મારવામાં આવી નથી પણ કાશ્મીરમાં લોકોને પર રોજ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.)
આ પહેલા પણ આ ગૌરક્ષકોએ નિર્દયતા સાથે અનેક મુસ્લિમોને પોતાના નિશાન બનાવ્યા હતા. પણ એ સમયે મોદીએ કોઈ નિવેદન આપ્યું ન હતું. હવે દલિતો પર હુમલો કરવામાં આવતા મોદીએ ‘બનાવટી’ ગૌરક્ષકોની ટીકા કરી હતી. જ્યારે ભારતીય એર ફોર્સના ટેકનિશિયનના પિતા મોહમ્મદ અખલાકને દાદરીમાં માત્ર તેના ઘરમાં ગૌમાંસ હોવાની અફવાને કારણે બેરહેમીથી મારી નાખવામાં આવ્યો હતો અને આ સ્થાન માત્ર જ્યાં નરેન્દ્રમોદીએ એક વર્ષ અગાઉ વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા તેનાથી અમુક કિલોમીટર જ દૂર હતું અને આ ઉપરાંત અખલાકની હત્યા પછી પણ ભાજપના સંગીત સોમ જેવા નેતાઓએ મોહમ્મદ અખલાકના હત્યારાઓને ખુલ્લો ટેકો આપ્યો હતો, તેના પછી ઝારખંડમાં ઢોરના બે વેપારીઓ મઝ્લુમ અન્સારી (૩૫) અને ઇનાયતુલ્લાહ ખાન (૧૨)ને એક વૃક્ષ પર લટકાવીને ફાંસી આપવામાં આવી હતી અને હરિયાણામાં બે મુસ્લિમ પુરૂષોને ગાય તકેદારી જૂથ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને ગૌમૂત્ર અને ગાયનું છાણ ખાવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, એ સમયે મોદીએ કોઈ ટિપ્પણીઓ કરી ન હતી. યુપી, ઝારખંડ, કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ, જેવા રાજ્યોમાં છેલ્લા દસ મહિનામાં આવા ગૌરક્ષક દળોએ બેરોકટોક પણે પોતાની ‘કામગીરી’ વધારી દીધી છે. અને સામાજિક મીડિયામાં પણ આ સમાચાર આવતા રહે છે, અને માનવ અધિકાર કાર્યકરો બુમરાણ મચાવી રહ્યા છે પણ તેમની આંખ ઊડવાનું નામ લેતી ન હતી પરંતુ વડાપ્રધાને એક સૂચક અને ભેદી મૌન જાળવી રાખ્યુ હતું. હવે જ્યારે આ કહેવાતા ગૌરક્ષકો બેફામ બની ગયા છે અને તેઓએ જાહેરમાં બેપરવાપણે ચામડીના ઉદ્યોગ સાથે પોતાનું ગુજરાન ચલાવતા દલિત લોકોને મારઝૂડના કારણે લક્ષ્મણ રેખા ઓળંગી, જેના કારણે ભાજપને પોતાનું ભવિષ્ય જોખમમાં દેખાયું, માત્ર ત્યારે જ વડાપ્રધાન હવે પોતાનો ‘ગુસ્સો’ દર્શાવી રહ્યા છે. તેમ છતાં એ જોવું અગત્યનું રહેશે કે દલિતોની તરફેણમાં કરવામાં આવેલ વડાપ્રધાનનું મજબૂત નિવેદન અને તેમના શબ્દો કોઈ નક્કર સ્વરૂપ લેશે, અને જો તેઓ ગૌરક્ષકોને અસામાજીક તત્વો ઘોષિત કરે છે પણ શું તેઓ આવા ‘નકલી ગાય સંરક્ષકો’ સામે કડક પગલાં લઈ શકશે ? આ દરમિયાન મોદીના આ નિવેદનો વખોડી કાઢતા વિરોધ પક્ષના લોકો આ ટીકાને એકસાથે ‘બનાવટી’ જાહેર કરે છે, અને તેનાથી વિપરીત હિન્દુ મહાસભા પણ દલિતો માટે મોદીની આ હમદર્દી અને ગૌરક્ષકો સામે કરવામાં આવેલા આક્ષેપોને નકારે છે, તેઓએ ગૌરક્ષકો પર મોદીના નિવેદનની આકરી નિંદા કરી છે અને તેમની પાસે માફીની પણ માગણી કરી છે. જો કે આ રાજકીય નૃત્ય અને નાટક ચાલુ રહેશે, પણ જે રીતે દલિતોએ શાંતિપૂર્ણ રીતે તેમનો વિરોધ ચાલું રાખ્યો છે અને જે રીતે તેઓએ પોતાને થઈ રહેલ નુકશાન અને અપમાન માટે લડત આપી રહ્યા છે તે માટે તેઓ અભિવાદનના હકદાર છે.
મુસ્લિમોએ દલિતો પાસેથી એકતા અને સ્વ આદર શીખવાની જરૂર છે.
(સૌ. : મુસ્લિમ મિરર)