(એજન્સી) પટના, તા.૧૮
આંતર-જ્ઞાતીય લગ્નથી નારાજ થઈને ગુસ્સાના એક ચોંકાવનારા પ્રદર્શનમાં, પૂર્ણિયાના એક પરિવારે તેમની ૧૮ વર્ષની પુત્રીના પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર કર્યા; આ યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને કોર્ટમાં તેની સાથે લગ્ન કર્યા હતા. જ્યારે યુવતીએ સ્થાનિક કોર્ટમાં સ્વીકાર્યું કે તેણે પોતાની પસંદગીના પુરૂષ સાથે લગ્ન કર્યા છે, ત્યારે પરિવારે તેનો ફોટો ધરાવતું પૂતળું તૈયાર કર્યું, વિસ્તારમાં અંતિમ યાત્રા કાઢી અને પ્રતીકાત્મક અંતિમ વિધિ કરી. આ ઘટના મંગળવારે પૂર્ણિયાના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચાપાય ગામમાં બની હતી. કોલેજમાં અભ્યાસ કરતી રિયા કથિત રીતે ૮ સપ્ટેમ્બરના રોજ ૨૪ વર્ષીય મિનલ કુમાર સાથે ભાગી ગઈ હતી અને કોર્ટમાં તેની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેના પિતા મનોજ કુમાર ગોસ્વામીએ મરંગા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પુત્રીનું અપહરણ થયાની આશંકા વ્યક્ત કરતા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રિયા અને મિનલ લગભગ ત્રણ વર્ષથી સંબંધમાં હતા. તેમના ઘર વચ્ચેનું અંતર માત્ર ૧૦૦ મીટર જેટલું હોવાનું કહેવાય છે. શરૂઆતમાં તેઓ એકબીજાને ત્યારે જોતા હતા જ્યારે રિયા કોલેજ જતી હતી અને ધીમે ધીમે તેઓ મળવાનું અને વાત કરવાનું શરૂ કર્યું. બે દિવસ પહેલા, પોલીસે દિલ્હીથી રિયાને શોધી કાઢી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી, જ્યાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જ્યારે તેણે મિનલની તરફેણમાં વાત કરી અને કહ્યું કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે, ત્યારે તેના પિતા ખૂબ નારાજ થયા હતા. ત્યારબાદ તેમણે અંતિમ સંસ્કારની વિધિ દ્વારા પુત્રી સાથેના સંબંધોનો પ્રતીકાત્મક રીતે અંત લાવવાનો નિર્ણય કર્યો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પરિવારે રિયાનું પૂતળું બનાવ્યું અને તેનો ફોટો ધરાવતું પોસ્ટર તૈયાર કર્યું. બીજા દિવસે સવારે ગ્રામજનોને સરઘસમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂતળાને ઘરની બહાર કાઢીને અર્થી પર રાખી ગામમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. મનોજે પ્રતીકાત્મક અગ્નિસંસ્કાર કર્યા તે પહેલાં લોકોએ હિન્દુ અંતિમ સંસ્કારના મંત્ર “રામ નામ સત્ય હૈ”નો ઉચ્ચાર કર્યો હતો. પરિવારે એમ પણ કહ્યું કે તેઓ મૃત્યુ સાથે સંકળાયેલી વિધિઓ, જેમાં ૧૦મા અને ૧૩મા દિવસની વચ્ચે શ્રાદ્ધ અને પિંડ-દાનનો સમાવેશ થાય છે, તે પણ કરવા માંગે છે. મનોજે જણાવ્યું કે પરિવારે રિયાના લગ્ન ભાગલપુરના એક સરકારી શિક્ષક સાથે નક્કી કરી દીધા હતા. તેમના કહેવા મુજબ, આ સંબંધ ૬ લાખ રૂપિયામાં નક્કી થયો હતો અને લગ્ન નવેમ્બરમાં યોજાવાના હતા. “અમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેવામાં મારી દીકરી ભાગી ગઈ અને પોતાની મરજીથી લગ્ન કરી લીધા. હવે હું સામેવાળા પરિવારને શું કહીશ? હું તેમનો સામનો કેવી રીતે કરીશ?” તેમણે કહ્યું. પોતાની વ્યથા વ્યક્ત કરતા મનોજે ઉમેર્યું, “મેં મારી દીકરીને ભણાવી-ગણાવી અને મોટી કરી, પણ તેણે અમને શરમથી નીચું જોવું પડે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે. ભગવાન કરે કે કોઈને આવી દીકરી ન મળે. હવે અમે કોઈને મોઢું બતાવવાની સ્થિતિમાં નથી રહ્યા.” પરિવારે હવે કહ્યું છે કે રિયા તેમના માટે “મૃત સમાન” છે અને તેઓ તેની સાથે કોઈ સંબંધ રાખશે નહીં. ગામના રહેવાસી અવધેશ કુમારે જણાવ્યું કે સમાજના લોકોએ અગાઉ આ વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, બંને પક્ષોને એક બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને સામાજિક સ્તરે મામલો ઉકેલવા માટે કહેવામાં આવ્યું હતું. “અમે અગાઉ એક બેઠક યોજી હતી અને બંને પક્ષોને બોલાવ્યા હતા. અમે તેમને સામાજિક સ્તરે કોઈ ઉકેલ લાવવા કહ્યું હતું. અમે તેમને પહેલાની જેમ જ રહેવા અને તે બંનેને અલગ રાખવા માટે કહ્યું હતું, પરંતુ તેમ ન થયું,” અવધેશભાઈએ કહ્યું. તેમણે ઉમેર્યું કે સમાજ ઈચ્છતો હતો કે યુવતીઓ સમજે કે જો તેઓ આવું પગલું ભરે તો શું પરિણામ આવી શકે છે.