દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા ધરપકડથી બચવા માટેની કેજરીવાલની અરજી ફગાવી દેવાયા પછી ED દ્વારા ધરપકડ કરાઈ

ED ની કાર્યવાહી સામે તાત્કાલિક સુનાવણી માટે AAP નેતાઓ અને કેજરીવાલના વકીલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા

ED ની ટીમ ભારે પોલીસ કાફલા સાથે કેજરીવાલના નિવાસે પહોંચી અને સર્ચ તથા પૂછપરછ ચાલુ કરી હતી, ઘરના તમામ સભ્યોના ફોન જપ્ત કરી લેવાયા, AAP ના નેતાઓને કેજરીવાલના નિવાસે જતાં પોલીસે અટકાવ્યા, ભારે તંગદિલીની સ્થિતિ સર્જાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરૂવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હીની રદ થયેલી દારૂ નીતિ (લિકર પોલિસી) કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં ધરપકડ કરી લીધી છે. આ પહેલાં કેન્દ્રીય એજન્સી તેમની પૂછપરછ કરવા માટે કોઈપણ નોટિસ વિના તેમના નિવાસસ્થાને ભારે પોલીસ કાફલા સાથે પહોંચી ગઈ હતી. ત્યાં કેન્દ્રીય એજન્સીએ તેમના નિવાસ પર સર્ચ અભિયાન પણ ચલાવ્યું હતું. દેશના ઇતિહાસમાં એવું પ્રથમવાર બન્યું છે જ્યારે કોઈ ચાલુ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી હોય. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરાયા પછી આપના મંત્રી આતિશીએ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદે ચાલુ છે અને રહેશે. આતિશીએ મીડિયાને કહ્યું કે, ‘અમે હંમેશા કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. તેઓ દિલ્હીના સીએમ તરીકે ચાલુ રહેશે. અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અમારા વકીલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી રહ્યા છે.’ આપએ પણ અરવિંદ કેજરીવાલની ધરપકડને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આપના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ‘અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ અને આજે રાત્રે તાત્કાલિક સુનાવણી માટે પ્રાર્થના કરી છે.’
અરવિંદ કેજરીવાલને શુક્રવારે વિશેષ ઁસ્ન્છ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પૂછપરછ માટે તેમની કસ્ટડી માંગશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તપાસ ટીમ દ્વારા તેમની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર ભારે સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોનો મેળાવડો જોવા મળ્યો હતો. પોતાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા આપના ધારાસભ્ય રાખી બિરલાની પોલીસે અટકાયત કરી હતી. જંગી પોલીસ બંદોબસ્ત અને બેરિકેડિંગ પણ જોવા મળ્યું હતું. અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારના સભ્યોના મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આપના મંત્રી સૌરભ ભારદ્વાજે દાવો કર્યો હતો કે, આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ સાથે સંપર્ક સ્થાપિત કરી શક્યા નથી અને તેમને તેમના નિવાસસ્થાનમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઇકોર્ટે તેમની સામે કોઈપણ બળજબરીભરી કાર્યવાહીથી વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યાના કલાકો બાદ આ વિકાસ થયો છે. કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને જારી કરાયેલા સમન્સને પડકારતી અરજી કોર્ટમાં દાખલ કરી હતી. હાઇકોર્ટે ઇડીને દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવા કહ્યું હતું. પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ન્યાયાધીશો દ્વારા જોવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts