(એજન્સી) તા.૧૯
કબીર, રવિદાસ અને નામદેવ જેવા સંત કવિઓની કૃતિઓ સદીઓથી ગુંજી રહી છે, પરંતુ તાજેતરમાં જ દલિત સાહિત્ય મુખ્ય પ્રવાહમાં કેન્દ્ર સ્થાને આવ્યું છે. સમાજના વંચિત અને હાંસિયામાં ધકેલાયેલા જૂથોના અભ્યાસના ઉદય સાથે સાહિત્યમાં ઘણા વિશિષ્ટ ક્ષેત્રો વિકસ્યા છે, જ્યાં અત્યાર સુધી અદૃશ્ય અથવા દબાયેલા જૂથોએ પોતાની સાહિત્યિક ઉપસ્થિતિ મજબૂત રીતે નોંધાવી છે. બાબાસાહેબ આંબેડકર અને નામદેવ ઢસાલ જેવા મરાઠી અગ્રેસરોના પ્રભાવ હેઠળ દલિત લેખને આશરે ૬૦ વર્ષ પહેલાં પોતાની શક્તિ બતાવવાનું શરૂ કર્યું હતું અને હવે તે દેશના લગભગ તમામ રાજ્યોમાં એક અદમ્ય અવાજ બની ગયું છે. પંજાબમાં દલિતોની વસ્તી ખૂબ મોટી સંખ્યામાં છે અને તેટલી જ વિશાળ માત્રામાં પંજાબી દલિત સાહિત્ય પણ ઉપલબ્ધ છે, છતાં પંજાબી ભાષાની બહારના વાચકો સુધી તેને પહોંચાડવા માટે હજી સુધી તેનું વધુ ભાષાંતર થયું નથી. ‘ગેંગરીન’ નામનો વાર્તાસંગ્રહ આ ઉણપને પૂરવા માટે પહેલીવાર અંગ્રેજીમાં ૧૨ વાર્તાઓનો સમૂહ રજૂ કરે છે. અક્ષય કુમાર અને નવદીપ સિંહ દ્વારા અનુવાદિત આ પુસ્તક એક વિગતવાર પ્રસ્તાવના સાથે આવે છે, જે પંજાબી દલિત લેખનના વિકાસની સાથે-સાથે શોષણ, ભેદભાવ અને જુલમની દલિત વાર્તાઓના આંતરિક પ્રવાહોની સમજ આપે છે. અનુવાદકોનો દાવો છે કે, પ્રગતિશીલ લેખકો દ્વારા ગરીબો અને વંચિતો વિશે લખાતી વાર્તાઓની તુલનામાં, દલિતો દ્વારા પોતે લખાયેલી આ વાર્તાઓ તેમના જીવનના વાસ્તવિક અનુભવોને વધુ અધિકૃત રીતે રજૂ કરે છે. સચ્ચાઈની વાત બાજુ પર રાખીએ તો પણ આ સંગ્રહની વાર્તાઓ દલિતો દ્વારા અનુભવાયેલી અને તેમના પર જુલમ ગુજારનારાઓ દ્વારા આચરવામાં આવેલી શારીરિક તેમજ માનસિક યાતનાઓ બંને દૃષ્ટિએ વિવિધતાપૂર્ણ અનુભવો માટે અલગ તરી આવે છે. જો અહીં ‘આકાશની કિકિયારી’, ‘મારી વાર્તા’ અને ‘દરેકની વાર્તા’ જેવી વાર્તાઓ છે, જેમાં દલિતો વિરૂદ્ધ બળાત્કાર અને હિંસા જેવા ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે, તો વળી ‘કયામત’, ‘કેન્સર’ અને ‘થોર’ જેવી વાર્તાઓ પણ છે, જ્યાં પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિના પાત્રોના મનમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી નફરત બતાવવામાં આવી છે, પરંતુ આ વાર્તાઓ આપણને તેમના માનસિક અને ભાવનાત્મક સંઘર્ષની ઝાંખી પણ કરાવે છે. આ વાર્તાઓ ગ્રામીણ અને શહેરી પૃષ્ઠભૂમિ વચ્ચે સમાન રીતે વહેંચાયેલી છે. જો ગામડામાં આવેલી દલિત વસાહત એ જમીનદારો અને ગામના અન્ય વડાઓ દ્વારા ખુલ્લેઆમ કરવામાં આવતા તિરસ્કાર અને શોષણનું સ્થળ છે, તો શહેર પણ તેટલી જ પ્રતિકૂળ જગ્યા છે જ્યાં દલિતો શિક્ષણ અને આર્થિક પ્રગતિ પછી પણ પોતાની ઓળખ છૂપાવ્યા વિના જીવી શકતા નથી.