પંજાબના સંગરૂરના રહેવાસી ૪૭ વર્ષીય દલિત વ્યક્તિ ગુલઝાર સિંહ, જેમનું કથિત રીતે ઝેર ખાધા બાદ અવસાન થયું હતું
(એજન્સી) તા.૧૧
સંગરૂરમાં આત્મહત્યા કરનાર ગુલઝાર સિંહના પરિવારે ગુરૂવારે આરોપ લગાવ્યો કે તેમના અંતિમ સંસ્કાર ‘બળજબરીપૂર્વક’ કરવામાં આવ્યા હતા, જ્યારે વિરોધ પક્ષોએ તેમના મૃત્યુની CBI તપાસની માંગ ફરી દોહરાવી હતી. નેશનલ કમિશન ફોર શેડ્યૂલ્ડ કાસ્ટ્સ (NCSC)ના અધ્યક્ષ કિશોર મકવાણા અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ સંગરૂર જિલ્લાના તુરબંજારા ગામમાં ગુલઝારના પરિવારની મુલાકાત લીધી હતી. પરિવારે આરોપ લગાવ્યો કે વહીવટીતંત્રે તેમની સંમતિ વિના અંતિમ સંસ્કાર કર્યા અને મૃતદેહને ધાર્મિક વિધિઓ માટે ઘરે લાવવાને બદલે સીધો સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો. ગુરૂવારે જાહેર કરાયેલા એક કથિત વીડિયોમાં ગુલઝારના પુત્ર શાહબાઝે દાવો કર્યો હતો કે અંતિમ સંસ્કાર ‘બળજબરીપૂર્વક’ કરવામાં આવ્યા હતા અને તેના ભાઈને ગેરમાર્ગે દોરીને મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. તેણે કહ્યું, ‘અમે અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે ન તો ‘ભોગ’ (અંતિમ પ્રાર્થના સભા) યોજીશું કે ન તો તેમની અસ્થિઓ એકત્રિત કરીશું.’ તેમના બીજા પુત્ર, લખવિંદર સિંહે પણ આરોપ લગાવ્યો કે પરિવારની સંમતિ વિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારે નાણાં પ્રધાન હરપાલ સિંહ ચીમા અને મૃત્યુ પહેલાં ગુલઝાર દ્વારા કથિત રીતે નામ આપવામાં આવેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દિરબાના રહેવાસી ૪૭ વર્ષીય દલિત વ્યક્તિ ગુલઝારનું સોમવારે રાત્રે કથિત રીતે ઝેર ખાધા બાદ અવસાન થયું હતું. તેમના પરિવારે દાવો કર્યો છે કે રવિવારે એક કાર્યક્રમ દરમિયાન વિસ્તારમાં ડ્રગ્સના પુરવઠા અંગે ચીમાને પ્રશ્ન પૂછ્યા બાદ તેમને હેરાન કરવામાં આવ્યા હતા અને જાતિવાદી અપશબ્દોનો સામનો કરવો પડ્યો હતો. NCSCએ જણાવ્યું હતું કે મકવાણાએ પરિવારને કહ્યું હતું કે ગુલઝાર ડ્રગની સમસ્યા સામે અવાજ ઉઠાવી રહ્યા હતા અને તેમને ધમકાવવામાં તથા ડરાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. આયોગે એમ પણ કહ્યું કે પરિવારે ગુલઝારને ધમકાવવામાં કથિત રીતે સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને તેમના માટે સુરક્ષાની માંગણી કરી હતી. ભાજપ, કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ સહિતના વિરોધ પક્ષોએ ચીમાને પદ પરથી હટાવવાની અને મૃત્યુની CBI તપાસની માંગ કરી હતી. ભાજપ પંજાબના અધ્યક્ષ કેવલ સિંહ ધિલ્લોન, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનપ્રીત સિંહ બાદલ અને પક્ષના પૂર્વ પ્રદેશ અધ્યક્ષો સુનીલ જાખર તથા અશ્વિની શર્માએ પરિવારની મુલાકાત લીધી અને તેમને મદદની ખાતરી આપી. ધિલ્લોને જણાવ્યું હતું કે ભાજપે આ મામલે ઝ્રમ્ૈં તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પંજાબના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે આક્ષેપ કર્યો હતો કે ‘આપ’ (AAP) સરકારે પરિવારની ઈચ્છા વિરૂદ્ધ અંતિમ સંસ્કાર કરીને તેમનું અપમાન કર્યું છે. SADના વડા સુખબીર સિંહ બાદલે પણ આરોપ લગાવ્યો હતો કે પરિવારની સંમતિ લેવામાં આવી ન હતી અને ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબમાં ડ્રગ્સની સ્થિતિ અંગે માન સરકારની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સિન્થેટિક ડ્રગ્સ અથવા ‘ચિટ્ટા’ વ્યાપકપણે ઉપલબ્ધ છે અને નશીલા પદાર્થોની હોમ ડિલિવરી પણ થઈ રહી છે. ગામ તરફ જતી વખતે, ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ‘આપ’ના કાર્યકરોએ ધિલ્લોનની ગાડીને ઘેરી લીધી હતી અને ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ ‘મૃતદેહ પર રાજકારણ ન કરવા’ની વાત કહી હતી. આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ હેઠળ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ અત્યાર સુધીમાં પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.NCSC