પ્રારંભિક મુકાબલા પહેલા ન્યુઝીલેન્ડને ફટકો : ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
કરાચી, તા.૧૮
અનિશ્ચિતતા, નાટકીયતા અને પરદા પાછળની પ્રવૃત્તિઓ, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ર૦રપ શરૂ થતાં પહેલા આ બધું જોદુઈ ચૂક્યા છે અને પાકિસ્તાન તથા ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં ઉદ્ઘાટન મેચ (૧૯ ફેબ્રુઆરી) સાથે જ આગામી ત્રણ સપ્તાહ સુધી ચાલનારી ટુર્નામેન્ટના રોમાંચની પરાકાષ્ઠા જોવા મળશે. વર્લ્ડ કપ સમાન કઠીન ગણાતી આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ટાઈટલ માટે ટકરાશે અને પોતાના ક્રિકેટ ઈતિહાનો સુવર્ણ ચેપ્ટર લખવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમની મેચ ર૦ ફેબ્રુઆરીથી દુબઈમાં જ્યારે બાકીની ટીમો પાકિસ્તાનમાં રમશે. આઠ વર્ષ બાદ થઈ રહેલી આ ટુર્નામેન્ટના આયોજનમાં અનેક મુશ્કેલીઓ આવી. વન-ડે ક્રિકેટની પ્રાસંગિકતા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ ટુર્નામેન્ટના મહત્ત્વને સ્થાપિત કરવો પણ એક પડકાર હતો પણ હવે આ ટુર્નામેન્ટનો તખ્તો ગોઠવાઈ ગયો છે. યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેેન્ડ વચ્ચેના મુકાબલાથી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ર૦રપનો બુધવારથી પ્રારંભ થશે પણ આ મેચ પહેલા ન્યુઝીલેન્ડ ટીમને મોટો ફટકો પડ્યો છે. ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કાઈલ જેમીસન ટીમનો હિસ્સો હશે. આ પહેલા પણ ન્યુઝીલેન્ડની ટીમ ઈજાની સમસ્યા સામે ઝઝમૂી ચૂકી છે. એક ફેરફાર પહેલા થઈ ચૂક્યો છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જાણકારી આપી છે કે રવિવારે કરાચીમાં અફઘાનિસ્તાન સામેની પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરતી વખતે ફર્ગ્યુસનના પગમાં દુઃખાવો થયો હતો અને પ્રારંભિક તપાસ બાદ સંકેત મળ્યો કે તે પૂરી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પર્યાપ્ત રૂપથી ફીટ નથી. આવામાં લોકી ફર્ગ્યુસનને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ર૦રપની બહાર કરી દેવાયો છે. ફર્ગ્યુસનનું સ્થાન ઝડપી બોલર કાઈલ જેમીસન લેશે અને આજે સાંજે પાકિસ્તાન માટે રવાના થશે. આવામાં તે પાકિસ્તાન વિરૂદ્ધ ૧૯ ફેબ્રુઆરીએ રમાનારી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. જેમીસને ડિસેમ્બરમાં સુપર સ્મેશમાં કેંટરબરી કિંગ્સ માટે ઘરેલુ ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. તે પીઠમાં સ્ટ્રેસ ફ્રેકચરના રિહેલ માટે ૧૦ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. હાલમાં જ પાકિસ્તાન અને દ.આફ્રિકા સાથે ન્યુઝીલેન્ડે રમેલી ત્રિકોણીય સિરીઝ દરમ્યાન બેન સિયર્સ પણ ઈજાગ્રસ્ત થઈ ટુર્નામેન્ટની બહાર થઈ ગયો હતો. તેના સ્થાને જેકબ ડફીને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ કરાયો હતો. આ ઉપરાંત વન-ડે ત્રિકોણીય સિરીઝમાં ઈજાગ્રસ્ત થયેલ રચિન રવીન્દ્ર પણ હજી સુધી પૂરી રીતે ફીટ નથી.