
ઝાકિર હુસૈન
દેશની આઝાદીના મુસ્લિમવીરો
ભારતીય સ્વતંત્રતા ચળવળ એ વિશ્વના ઇતિહાસમાં સૌથી લાંબો સ્વતંત્રતા સંગ્રામ છે. ભારતના નેતાઓને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મેળવવામાં લગભગ ૯૦ વર્ષ લાગ્યા હતા. વિવિધ જાતિઓ અને રજવાડાઓના શાસકોએ સમયાંતરે બ્રિટિશ સામ્રાજ્ય સામે બળવો કર્યો હોવા છતાં તેમનો બળવો અમુક ચોક્કસ ક્ષેત્રમાં મર્યાદિત હતો અને તે સમગ્ર રાષ્ટ્ર માટે ન હતો.
પ્રથમ મોટો બળવો જે સમગ્ર ભારતીય મુખ્ય ભૂમિમાં એકસાથે થયો હતો તે ૧૮૫૭નો બળવો હતો જ્યારે ભારતના મોટાભાગના ઉત્તરીય ભાગમાં બહાદુર શાહ જાફરના બેનર હેઠળ એક થયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫માં કરવામાં આવી હતી અને ૧૯૦૫માં (બંગ ભંગ ચળવળ) સાથે રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાની એક વિશાળ લહેર શરૂ થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૦માં બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી હતી અને અંતે, ભારતે ૧૯૪૭માં તેની સ્વતંત્રતા હાંસલ કરી લીધી હતી. સમાજના લગભગ દરેક વર્ગે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો અને આઝાદી પછી, ભારત સરકારે લગભગ દરેક વ્યક્તિના યોગદાનને સન્માનિત કર્યું હતું. ઇસ્લામ એ ભારતમાં બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે અને સ્વાતત્રતા પહેલાના વર્ષો દરમિયાન હજારો મુસ્લિમો હિંદુઓ સાથે મળીને લડ્યા હતા પરંતુ સમય જતાં, મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓના નામ ઇતિહાસ તેમજ પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચના માટે પણ મુસ્લિમોને દોષી ઠેરવવામાં આવે છે. આઝાદીના ૭૦ વર્ષ પછી, જો આપણે ભારતના ત્રણ મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ વિશે કોઈને પૂછીએ, તો મોટાભાગના લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં. ઈતિહાસના પાઠ્ય પુસ્તકોમાં પણ અશફાકુલ્લા ખાન, સર સૈયદ અહમદ ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને અન્ય કેટલાક નેતાઓ જેવા માત્ર કેટલાક નેતાઓને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે મેં ગૂગલ પર સર્ચ કર્યું ત્યારે ભાગ્યે જ કેટલીક વેબસાઇટ્સ હતી જે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની વિગતવાર યાદી આપે છે અને વિકિપીડિયા પેજ પણ જ્યારે મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ માટે સર્ચ કરવામાં આવે ત્યારે કોઈ પરિણામ દર્શાવતુ નથી. તો હવે સવાલ એ થાય છે કે આ માટે કોઈ ચોક્કસ ડેટા કેમ નથી અથવા એ સાચું છે કે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુસ્લિમોનું યોગદાન ઘણું ઓછું છે ?
મેં ભારતીય સ્વતંત્રતા ચળવળને લગતી વિવિધ યાદીઓ, વેબસાઇટ્સ, પુસ્તકો અને સામયિકો શોધવાનું શરૂ કર્યું અને અંતે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની યાદી સામે આવી હતી. હું આશા રાખું છું કે આ લેખ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસ્લિમોના યોગદાન વિશેની ખોટી દંતકથાઓને રદિયો આપશે અને જેઓ સ્વતંત્રતા ચળવળને ધર્મ અને જાતિના લેન્સથી પણ જુએ છે તેમને યોગ્ય માર્ગદર્શન આપશે.
આ યાદીમાં કયા મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
આ યાદી તૈયાર કરતી વખતે મેં ૧૮૫૭થી ૧૯૪૭ સુધીના ભારતના મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓનો સમાવેશ કર્યો છે. ૧૮૫૭ પહેલાના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી કારણ કે ૧૮૫૭ પહેલા બ્રિટિશ સામ્રાજ્ય સાથેની લડાઈ મુખ્યત્વે તેમના પોતાના રાજ્ય અથવા ચોક્કસ વિસ્તાર માટે મર્યાદિત હતી. ઉદાહરણ તરીકે, મેં નવાબ સિરાજ ઉદ-દૌલાનો સમાવેશ કર્યો નથી કારણ કે તે બંગાળ પ્રાંત માટે લડ્યા હતા, સમગ્ર ભારત માટે નહીં. એ જ રીતે, ટીપુ સુલતાન પણ તેમાં સામેલ નથી કારણ કે તે મૈસુર પ્રાંત માટે લડ્યા હતા. ૧૮૫૭ પહેલાના શાસકોને શા માટે સામેલ કરવામાં આવ્યાં નથી તેનું એક વધુ કારણ એ છે કે તે આપણને સ્વતંત્રતા સેનાનીઓના ચોક્કસ નામો જાણવામાં મદદ કરશે જેથી આ લેખને ભારતીય સ્વતંત્રતા ચળવળના યુગમાં મુસ્લિમોના યોગદાનને યોગ્ય રીતે સમજાવી શકે.
ભારતના મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી
ઝાકિર હુસૈન : ડૉ. ઝાકિર હુસૈને ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી અને તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ પણ હતા. તેમનો જન્મ ૮મી ફેબ્રુઆરી ૧૮૯૭ના રોજ થયો હતો અને તેમણે દિલ્હીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તેઓ ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતથી ખૂબ પ્રભાવિત હતા અને એવું માનતા હતા કે ભારતની સ્વતંત્રતા માટેની લડત ત્યારે જ સફળ થશે જ્યારે ભારતીય સમાજ મૂલ્ય આધારિત શિક્ષણ સાથે શિક્ષિત હશે. તેમણે જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના વાઈસ ચાન્સેલર તરીકે ૨૨ વર્ષ (૧૯૨૬-૪૮) સુધી કામ કર્યું અને તેને ભારતની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થામાંની એક બનાવી હતી. ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપતી વખતે ૩જી મે ૧૯૬૯ના રોજ તેમનું અવસાન થયું હતું અને આ પદ પર મૃત્યુ પામનાર તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમને ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
(સૌ.ઃ નોલેજ ઓફ ઇન્ડિયા.કોમ)