ભારતના મહત્ત્વના મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી

મગફૂર અહમદ અજાઝી

દેશની આઝાદીના મુસ્લિમવીરો

ભારતીય સ્વતંત્રતા ચળવળ એ વિશ્વના ઇતિહાસમાં સૌથી લાંબો સ્વતંત્રતા સંગ્રામ છે. ભારતના નેતાઓને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મેળવવામાં લગભગ ૯૦ વર્ષ લાગ્યા હતા. વિવિધ જાતિઓ અને રજવાડાઓના શાસકોએ સમયાંતરે બ્રિટિશ સામ્રાજ્ય સામે બળવો કર્યો હોવા છતાં તેમનો બળવો અમુક ચોક્કસ ક્ષેત્રમાં મર્યાદિત હતો અને તે સમગ્ર રાષ્ટ્ર માટે ન હતો. પ્રથમ મોટો બળવો જે સમગ્ર ભારતીય મુખ્ય ભૂમિમાં એકસાથે થયો હતો તે ૧૮૫૭નો બળવો હતો જ્યારે ભારતના મોટાભાગના ઉત્તરીય ભાગમાં બહાદુર શાહ જાફરના બેનર હેઠળ એક થયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫માં કરવામાં આવી હતી અને ૧૯૦૫માં (બંગ ભંગ ચળવળ) સાથે રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાની એક વિશાળ લહેર શરૂ થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૦માં બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી હતી અને અંતે, ભારતે ૧૯૪૭માં તેની સ્વતંત્રતા હાંસલ કરી લીધી હતી. સમાજના લગભગ દરેક વર્ગે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો અને આઝાદી પછી, ભારત સરકારે લગભગ દરેક વ્યક્તિના યોગદાનને સન્માનિત કર્યું હતું. ઇસ્લામ એ ભારતમાં બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે અને સ્વાતત્રતા પહેલાના વર્ષો દરમિયાન હજારો મુસ્લિમો હિંદુઓ સાથે મળીને લડ્યા હતા પરંતુ સમય જતાં, મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓના નામ ઇતિહાસ તેમજ પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચના માટે પણ મુસ્લિમોને દોષી ઠેરવવામાં આવે છે. આઝાદીના ૭૦ વર્ષ પછી, જો આપણે ભારતના ત્રણ મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ વિશે કોઈને પૂછીએ, તો મોટાભાગના લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં. ઈતિહાસના પાઠ્ય પુસ્તકોમાં પણ અશફાકુલ્લા ખાન, સર સૈયદ અહમદ ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને અન્ય કેટલાક નેતાઓ જેવા માત્ર કેટલાક નેતાઓને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે મેં ગૂગલ પર સર્ચ કર્યું ત્યારે ભાગ્યે જ કેટલીક વેબસાઇટ્‌સ હતી જે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની વિગતવાર યાદી આપે છે અને વિકિપીડિયા પેજ પણ જ્યારે મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ માટે સર્ચ કરવામાં આવે ત્યારે કોઈ પરિણામ દર્શાવતુ નથી. તો હવે સવાલ એ થાય છે કે આ માટે કોઈ ચોક્કસ ડેટા કેમ નથી અથવા એ સાચું છે કે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુસ્લિમોનું યોગદાન ઘણું ઓછું છે ? મેં ભારતીય સ્વતંત્રતા ચળવળને લગતી વિવિધ યાદીઓ, વેબસાઇટ્‌સ, પુસ્તકો અને સામયિકો શોધવાનું શરૂ કર્યું અને અંતે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની યાદી સામે આવી હતી. હું આશા રાખું છું કે આ લેખ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસ્લિમોના યોગદાન વિશેની ખોટી દંતકથાઓને રદિયો આપશે અને જેઓ સ્વતંત્રતા ચળવળને ધર્મ અને જાતિના લેન્સથી પણ જુએ છે તેમને યોગ્ય માર્ગદર્શન આપશે.મગફૂર અહમદ અજાઝીનો જન્મ ૩જી માર્ચ ૧૯૦૦ના રોજ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં થયો હતો. તે નોર્થ બ્રુક ઝિલા સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા. પરંતુ રોલેટ એક્ટનો વિરોધ કરવા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ તેમને શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ અસહકાર ચળવળમાં જોડાયા અને લગભગ તમામ સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમને “ષડયંત્ર કેસ”માં ઘણી વખત જેલમાં મોકલવામાં આવ્યા હતા. ૧૯૨૩માં તેમની પત્ની અને વર્ષ ૧૯૪૨માં તેમના પુત્રનું અવસાન થયું ત્યારે પણ તેમણે ભારતની સ્વતંત્રતા માટે લડવાનું ચાલુ રાખ્યું હતું. મગફૂર અહમદ અજાઝીએ જિન્નાહના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત અને પાકિસ્તાનની રચનાનો વિરોધ કર્યો હતો અને તેનો સામનો કરવા માટે તેમણે અખિલ ભારતીય જમહુર મુસ્લિમ લીગની સ્થાપના કરી. મુહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગના સમર્થક અજાઝી-ગદ્દર-એ-કૌમ કહીને તેમની મજાક ઉડાવતા હતા. મુસ્લિમ લીગના કાર્યકરો તેના ઘર પર થૂંકતા પણ હતા અને તેને માનસિક રીતે હેરાન કરવા માટે દરેક રીતનો ઉપયોગ કરતા હતા. ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા બાદ તેમણે ભારતમાં શિક્ષણ તેમજ ઉર્દૂ ભાષાના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ૨૬ સપ્ટેમ્બર ૧૯૬૬ના રોજ મુઝફ્ફરપુર શહેરમાં તેમના નિવાસસ્થાને તેમનું અવસાન થયું હતું. ફખરુદ્દીન અલી અહમદે કહ્યું હતું કે, ડૉ. અજાઝી ભારતની આઝાદીની લડતમાં મોખરે હતા, તેમના જીવનની વાર્તા દેશના એક મહત્વપૂર્ણ યુગની અનોખી અને રસપ્રદ વાર્તા છે. તેમના સન્માનમાં મુઝફ્ફરપુર મ્યુનિસિપલ બોર્ડ દ્વારા તેમના નિવાસસ્થાન તરફ જતા રસ્તાનું નામ ડૉ. અજાઝી માર્ગ રાખ્યું હતું.
(સૌ.ઃ નોલેજ ઓફ ઇન્ડિયા.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts