એક બાળકના વાલીઓએ શિક્ષક સાથે દલીલ કરતાં જણાવ્યું હતું કે તમે બાળકોને તો શાળાનો ગણવેશ પહેરીને આવવાની ફરજ પાડી શકો છો પરંતુ એમના માતા પિતા માટે કોઈ ડ્રેસ કોડ નક્કી કરી શકો નહીં
(એજન્સી) કાનપુર, તા.ર
ઉત્તર પ્રદેશના કાનપુરની એક ખાનગી શાળામાં સંચાલકોએ નિકાબ પહેરેલા વાલીઓને શાળામાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. વાલીઓ અને શિક્ષકોની એક ખાસ બેઠક શનિવારે યોજાઇ હતી તેમાં નિકાબ પહેરેલા વાલીઓને પ્રવેશ ન અપાતાં ભારે ધમાચકડી મચી જવા પામી હતી. ન્યુ વિઝન એન્ટર કોલેજ ખાતે આ ઘટના બની હતી. બાળકોના વાલીઓએ એવો દાવો કર્યો હતો કે એમને બુરખા અને નિકાબ કાઢી નાખવા માટે તાકીદ કરવામાં આવી હતી. ઓળખ માટે શાળામાં પ્રવેશતા પહેલા બુરખા અને નિકાબ કાઢવાનો અમને આદેશ અપાયો હતો પરંતુ ઘણા બધા વાલીઓએ આદેશનો સ્વીકાર કર્યો નહોતો, બલ્કે નારાજ થયેલા વાલીઓને શિક્ષકો સાથે પણ દલીલબાજી થઈ પડી હતી. વાલીઓએ એવી દલીલ કરી હતી કે તમે બાળકોને તો શાળાનું યુનિફોર્મ પહેરીને આવવાનું કહી શકો છો પરંતુ એમના માતા-પિતા માટે કોઈ ડ્રેસ કોડ નક્કી કરી શકો નહીં. અમે ત્રણ વર્ષથી અમારા બાળકોને આ શાળામાં મોકલી રહ્યા છીએ પણ પહેલીવાર આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે. આ અંગે એક બાળકના વાલીને તો શિક્ષક સાથે જીભાજોડી થઈ પડી હતી અને સામસામા બરડા પાડવા લાગ્યા હતા. એક વિદ્યાર્થીની માતાએ જણાવ્યું હતું કે અમને કલાકો સુધી શાળાની બહાર રાહ જોવડાવવામાં આવી હતી. વાલીઓને શાળાની બહાર ઊભા રહેવું પડ્યું હતું અને છેવટે બધા ચાલ્યા ગયા હતા. સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા તેઓ ખુલાસો કરવામાં આવ્યો હતો કે અમે વાલીઓને ડ્રેસ કોડ અંગે અગાઉથી જાણ કરી હતી પરંતુ કેટલાક વાલીઓએ બેઠકમાં વિઘ્ન ઉભું કર્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી પરંતુ કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ થઈ નથી. બંને પક્ષો શાંત થઈ ગયા હતા એ પછી પોલીસ કમિશનરને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. પોલીસે બાદમાં જાહેર કર્યું હતું કે શાંતિ થઈ ગઈ છે. નિયમ મુજબ જે જરૂરી લાગશે એ પગલા લેવામાં આવશે.