વાઈસ ચાન્સેલરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે રામ જન્મભૂમિ આંદોલન ૫૨૫ વર્ષ જૂનું છે અને કોઈ નવો મુદ્દો નથી, ઉપકુલપતિએ રામ મંદિરની સ્થાપના માટે રાજ્યની પણ પ્રશંસા કરી હતી અને ડૉ. બી. આર. આંબેડકરને ફક્ત દલિત સમુદાય માટે નહીં પણ રાષ્ટ્રીય વ્યક્તિ તરીકે ઓળખવા પણ હાકલ કરી હતી, વિદ્યાર્થિનીએ કહ્યું છે કે યુનિવર્સિટીની તેના વિરૂદ્ધની કાર્યવાહી તેની વર્તમાન ડિગ્રી અને ભવિષ્યની આકાંક્ષાઓને અવરોધવાના પ્રયાસો સમાન છે
(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ડૉ. બી. આર. આંબેડકર યુનિવર્સિટી દિલ્હીની એમ.એ.ના અંતિમ વર્ષની વિદ્યાર્થિનીને આ વર્ષે પ્રજાસત્તાક દિવસે યુનિવર્સિટીના ઉપ-ચાન્સેલર અનુ સિંહ લાથર દ્વારા આપવામાં આવેલા ભાષણની કથિત ટીકા કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે. લાથરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે રામ જન્મભૂમિ આંદોલન ૫૨૫ વર્ષ જૂનું છે અને કોઈ નવો મુદ્દો નથી. મીડિયાના અહેવાલ મુજબ, વાઇસ ચાન્સેલરે રામ મંદિરની સ્થાપના માટે રાજ્યની પ્રશંસા પણ કરી હતી અને ડૉ. બી. આર. આંબેડકરને ફક્ત દલિત સમુદાય માટે નહીં પણ રાષ્ટ્રીય વ્યક્તિત્વ તરીકે ઓળખવા પણ હાકલ કરી હતી. પ્રોક્ટોરિયલ બોર્ડ દ્વારા એક આદેશમાં, યુનિવર્સિટીએ "અનુશાસનહીનતા" અને "સંસ્થાના વડા વિરૂદ્ધ અપમાનજનક અને બદનક્ષીભરી ભાષા"નો ઉલ્લેખ કર્યો હતો, કારણ કે આ વર્ષે જાન્યુઆરીમાં ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (છૈંજીછ) સાથે કાર્યકર રહેલી વિદ્યાર્થિનીનો ઇમેઇલ યુનિવર્સિટીના સત્તાવાર મેઇલ સુવિધા પર શેર કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની કાર્યવાહીના પરિણામે, વિદ્યાર્થીનીને છ મહિના (સંપૂર્ણ શિયાળુ સત્ર) માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીએ કહ્યું છે કે યુનિવર્સિટીની આ કાર્યવાહી તેની વર્તમાન ડિગ્રી અને ભવિષ્યની આકાંક્ષાઓને અવરોધવાના પ્રયાસ સમાન છે અને તે યુનિવર્સિટીની શૈક્ષણિક અને લોકશાહી ભાવના પર "મોટા અને સતત હુમલા"નું પ્રતિનિધિત્વ કરે છે. વિદ્યાર્થીનીએ કહ્યું,"જો ફક્ત પ્રશ્ન પૂછવાના કૃત્યને ગુનાહિત ઠેરવવામાં આવે તો આપણી યુનિવર્સિટીઓએ શું વલણ રાખવું જોઈએ… આ માનસિક અને ભાવનાત્મક ત્રાસને વધુ ઉત્તેજિત કરવાની સ્પષ્ટ પ્રેરણા વહીવટીતંત્ર દ્વારા બધા અસંમતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ સ્થાપિત કરવા અને તેમના અવાજને અનિશ્ચિત સમય માટે દબાવવા માટે એક ઇરાદાપૂર્વકનું કાવતરૂં છે."