શું ઇઝરાયેલી ફિલ્મ ‘નાઝા’ ગાઝા યુદ્ધ કેવી રીતે લડવામાં આવ્યું, તેની ચર્ચાને અસર કરી શકશે?

 

(એજન્સી) તા.૧૯
ગાઝામાં યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની કામગીરી અંગેની ચર્ચા અત્યાર સુધી મોટાભાગે પેલેસ્ટીની સાક્ષીઓ, મૃત્યુઆંક, ઉપગ્રહ તસવીરો, આંતરરાષ્ટ્રીય મીડિયા તપાસ તથા માનવાધિકાર અને માનવતાવાદી સંગઠનોના અહેવાલો પર આધારિત રહી છે. પરંતુ હવે એક નવી દસ્તાવેજી ફિલ્મ ઇઝરાયેલી સરકાર માટે વધુ મુશ્કેલ સવાલો ઊભા કરી રહી છે. કારણ કે ફિલ્મના અનેક મુખ્ય દાવા એવા ઇઝરાયેલીઓના નિવેદનો પર આધારિત છે, જેઓ કહે છે કે તેમણે સૈન્યની લક્ષ્ય-પસંદગીની પ્રક્રિયા જોઈ હતી. ‘નાઝા’ નામની આ બ્રિટિશ દસ્તાવેજી ફિલ્મ ઇઝરાયેલી ફિલ્મ નિર્માતાઓ યુવાલ અબ્રાહમ અને રેચલ સ્ઝોરે બનાવી છે. ફિલ્મમાં ઇઝરાયેલી સૈન્ય અને ગુપ્તચર તંત્ર સાથે સંકળાયેલા ૨૪ લોકોની મુલાકાતો સામેલ છે. ફિલ્મ એ તપાસવાનો પ્રયાસ કરે છે કે ગાઝા યુદ્ધ દરમિયાન લક્ષ્યો કેવી રીતે પસંદ કરવામાં આવતાં હતાં અને હુમલામાં કેટલા નાગરિકોના મૃત્યુની શક્યતા છે તેનો નિર્ણયમાં કેવી રીતે સમાવેશ થતો હતો. ૮૦ મિનિટની આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ તેલ અવીવની છત પર રાત્રિના સમયે કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ ‘ધ ગાર્ડિયન’ અને જેડબ્લ્યુ ફિલ્મ્સે કર્યું છે. અબ્રાહમ અને સ્ઝોર અગાઉ ઓસ્કાર વિજેતા દસ્તાવેજી ફિલ્મ ‘નો અધર લેન્ડ’ના ચાર દિગ્દર્શકોમાં સામેલ હતા. ‘નાઝા’ને આ મહિને વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં વિશેષ જ્યુરી પુરસ્કાર મળ્યો હતો. ફિલ્મનું નામ હિબ્રુ ભાષાના એક લશ્કરી સંક્ષેપ પરથી છે, જેનો ઉપયોગ “કોલેટરલ ડેમેજ” એટલે કે લશ્કરી લક્ષ્ય પર હુમલો કરતી વખતે અપેક્ષિત નાગરિક જાનહાનિ માટે થાય છે. ફિલ્મમાં દર્શાવાયેલા સૈન્ય અને ગુપ્તચર અધિકારીઓની ઓળખ છુપાવવામાં આવી છે અને તેમના ચહેરા તથા અવાજમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ફિલ્મનો મુખ્ય દાવો માત્ર એટલો નથી કે ઇઝરાયેલી હુમલામાં નાગરિકો માર્યા ગયા છે. આ હકીકત અગાઉથી અનેક અહેવાલોમાં દસ્તાવેજીકૃત થઈ ચૂકી છે. વધુ ગંભીર દાવો એ છે કે કેટલાક હુમલાઓમાં નાગરિક જાનહાનિની સંખ્યા અગાઉથી જાણીતી હોવા છતાં તેને લક્ષ્ય પસંદ કરવાની પ્રક્રિયાનો સ્વીકાર્ય ભાગ માનવામાં આવી હતી. સૌથી વિવાદાસ્પદ દાવાઓમાંના એક મુજબ એક અજ્ઞાત ગુપ્તચર અધિકારીએ જણાવ્યું કે એક હમાસ સભ્યને નિશાન બનાવવા માટે એવા હુમલાને મંજૂરી આપવામાં આવી હતી જેમાં ૫૦૦ જેટલા નાગરિકોના મૃત્યુની શક્યતા હતી. ઇઝરાયેલી સૈન્યએ આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તેણે ૫૦૦ નાગરિકોના અપેક્ષિત મૃત્યુ સાથે કોઈ હુમલાનું આયોજન કે અમલીકરણ કર્યું નહોતું. ફિલ્મ પોતે કોઈ ચોક્કસ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાયદેસર હતો કે નહીં તે નક્કી કરી શકતી નથી. અજ્ઞાત સાક્ષીઓના નિવેદનોની ચકાસણી સૈન્યના ઓપરેશનલ રેકોર્ડ, ગુપ્તચર દસ્તાવેજો અને લક્ષ્ય-પસંદગી સંબંધિત ફાઇલો સહિતના અન્ય પુરાવાઓ સાથે થવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા મુજબ કોઈ હુમલામાં નાગરિકો માર્યા જાય એટલાથી તે હુમલો ગેરકાયદેસર સાબિત થતો નથી. પ્રમાણસરતાના નિયમ મુજબ, જો હુમલા પહેલાં અપેક્ષિત નાગરિક નુકસાન મળનારા ચોક્કસ અને સીધા સૈન્ય લાભની સરખામણીમાં અતિશય હોય, તો હુમલો ગેરકાયદેસર ગણાઈ શકે છે. એટલે કાનૂની તપાસમાં હુમલા પછી કેટલા લોકો માર્યા ગયા તેના કરતાં હુમલાની મંજૂરી આપતી વખતે કમાન્ડરોને શું ખબર હતી અને તેઓ શું અપેક્ષા રાખતા હતા તે મહત્ત્વ છે. યુદ્ધમાં નાગરિક જાનહાનિ પર નજર રાખતી એરવોર્સ સંસ્થાનાં કાર્યકારી નિયામક એમિલી ટ્રિપના જણાવ્યા મુજબ “કોલેટરલ ડેમેજ”ના અંદાજો એ સમજવામાં મદદ કરી શકે છે કે હુમલા પહેલાં સૈન્યને નાગરિકોની હાજરી અંગે શું જાણકારી હતી. પરંતુ આવી માહિતી સૈન્ય સંસ્થાઓ ભાગ્યે જ જાહેર કરે છે.

ટ્રપે કહ્યું કે ગાઝાની ભૌગોલિક સ્થિતિ અને ભારે દેખરેખને ધ્યાનમાં લેતાં આ મુદ્દો વધુ ગંભીર બને છે. ગાઝામાં નાગરિકો વારંવાર પોતાના ઘરોમાં જ માર્યા ગયા છે. એરવોર્સના જણાવ્યા મુજબ, ગાઝામાં મોટા પાયે જાનહાનિ ધરાવતા હુમલાઓ ઘણી વખત કોઈ અણધારી ભૂલનું પરિણામ હોય તેવું લાગતું નથી. ૨૦૨૪માં સ્કાય ન્યૂઝ સાથે કરાયેલી તપાસમાં એરવોર્સે યુદ્ધના પ્રથમ મહિનામાં ઇઝરાયેલી સૈન્ય દ્વારા જાહેર કરાયેલા સેંકડો હુમલાના વીડિયો તપાસ્યા હતા. તેમાંથી ૧૭ હુમલાઓ એવા સ્થળો સાથે જોડાયા જ્યાં એરવોર્સે સ્વતંત્ર રીતે નાગરિકોને થયેલા નુકસાનની નોંધ કરી હતી. આ ૧૭ ઘટનાઓમાં જ ૪૦૦થી વધુ નાગરિકોના મૃત્યુ નોંધાયા હતા. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે તેણે ‘નાઝા’ ફિલ્મ જોઈ નથી અને તેથી ફિલ્મના ચોક્કસ પુરાવા અંગે ટિપ્પણી કરી શકતું નથી. જોકે, સંસ્થાએ પોતાના સંશોધનના આધારે ગાઝામાં ઇઝરાયેલી દળો દ્વારા સીધા, અંધાધૂંધ અને અપ્રમાણસર હુમલાઓ સહિત ગેરકાયદેસર હુમલાઓની એક પેટર્ન નોંધાઈ હોવાનું જણાવ્યું છે. ઇઝરાયેલ આ આરોપોને સતત નકારે છે અને કહે છે કે તેની સૈન્ય કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર છે. ‘નાઝા’ અંગેની રાજકીય પ્રતિક્રિયા પણ હવે ચર્ચાનો મહત્વપૂર્ણ વિષય બની ગઈ છે. વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ફિલ્મને “આઘાતજનક ઉશ્કેરણી” ગણાવી છે. સંસ્કૃતિ પ્રધાન મિકી ઝોહારે ફિલ્મના દિગ્દર્શકો પર દેશ સાથે દગો કરવાનો આરોપ મૂક્યો અને તેમની ઇઝરાયેલી નાગરિકતા રદ કરવાની માગ કરી હતી. ઇઝરાયેલી સૈન્ય વડા લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝામિરે પણ ફિલ્મની ટીકા કરી અને તેને વાસ્તવિકતાને વિકૃત કરનારી ગણાવી. સૈન્યએ ફિલ્મમાં નિવેદન આપનારા વર્તમાન અથવા પૂર્વ કર્મચારીઓ સામે સંભવિત કાનૂની કાર્યવાહી અંગે પણ વિચારણા શરૂ કરી છે. આ પ્રતિક્રિયાએ પત્રકારત્વની સ્વતંત્રતા અંગે પણ સવાલો ઊભા કર્યા છે. કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્‌સે દિગ્દર્શકો સામેની ધમકીઓની ટીકા કરી છે. સંસ્થાના જણાવ્યા મુજબ સરકાર અને સૈન્યને ખોટા અહેવાલોનો તથ્યાત્મક જવાબ આપવાનો અને કાયદેસર પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો અધિકાર છે, પરંતુ તપાસ કરતા પત્રકારોને વ્યક્તિગત, કાનૂની અથવા વહીવટી પરિણામોની ધમકી આપવી ગંભીર ચિંતાનો વિષય છે. આ મુદ્દો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે ૭ ઑક્ટોબર, ૨૦૨૩ પછી આંતરરાષ્ટ્રીય સ્વતંત્ર મીડિયાને ગાઝામાં મુક્તપણે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી.

પત્રકારત્વની સ્વતંત્ર સંસ્થાઓનું કહેવું છે કે જ્યારે યુદ્ધક્ષેત્રમાં સ્વતંત્ર પ્રવેશ મર્યાદિત હોય ત્યારે સાક્ષીઓ, દસ્તાવેજો, વીડિયો અને અન્ય પુરાવા આધારિત તપાસ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
અમેરિકા-મિડલ ઈસ્ટ પ્રોજેક્ટના પ્રમુખ અને પૂર્વ ઇઝરાયેલી શાંતિ વાટાઘાટકાર ડેનિયલ લેવીના મતે ઇઝરાયેલની અંદર ચર્ચામાં પરિવર્તન ધીમું રહેશે. તેમના કહેવા મુજબ ઇઝરાયેલી સમાજ ગાઝા યુદ્ધને મુખ્યત્વે ૭ ઑક્ટોબરના હમાસના હુમલાના આઘાતના પરિપ્રેક્ષ્યમાં જુએ છે અને ઇઝરાયેલી મીડિયાએ પેલેસ્ટીની નાગરિકોની પીડાનું પ્રમાણ ઘણી વખત પૂરતું દર્શાવ્યું નથી.
વિદેશી અહેવાલોને ઇઝરાયેલમાં વિરોધી પ્રચાર અથવા ઇઝરાયેલ વિરોધી અભિયાન ગણાવીને નકારી શકાય છે, પરંતુ સૈન્ય અને ગુપ્તચર તંત્રમાં સીધી ભૂમિકા ભજવનારા ઇઝરાયેલીઓના નિવેદનોને સરળતાથી ફગાવી દેવા મુશ્કેલ છે. ફિલ્મની સત્તાવાર ટીકા છતાં તેના કારણે ઇઝરાયેલમાં ચર્ચા વધી છે. અહેવાલો મુજબ સરકારની ધમકીઓ બાદ ૧,૫૦૦થી વધુ ઇઝરાયેલી ફિલ્મ નિર્માતાઓએ અબ્રાહમ અને સ્ઝોરના સમર્થનમાં નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા.
તેમ છતાં, વિવાદનો અર્થ તરત જ વ્યાપક સામાજિક આત્મમંથનમાં બદલાઈ જશે એવું માનવું યોગ્ય નથી. ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલતા યુદ્ધે ઇઝરાયેલી સમાજમાં ઊંડા રાજકીય અને સામાજિક વલણો ઊભા કર્યા છે. અંતે ‘નાઝા’નો સૌથી મોટો પ્રશ્ન ફિલ્મ સાચી છે કે ખોટી એટલો નથી. મૂળ પ્રશ્ન એ છે કે શું ઇઝરાયેલી સમાજ, મીડિયા અને સંસ્થાઓ ગાઝામાં નાગરિકો સાથે થયેલી ઘટનાઓની ગંભીર તપાસ કરવા તૈયાર છે. આ આરોપો માત્ર પેલેસ્ટીની, વિદેશી પત્રકારો કે આંતરરાષ્ટ્રીય સંગઠનો તરફથી નહીં, પરંતુ યુદ્ધની વ્યવસ્થામાં ભાગ લેનારા ઇઝરાયેલીઓ તરફથી પણ આવી રહ્યા છે. ફિલ્મ પોતે ચર્ચાને બદલી શકે કે નહીં તે અસ્પષ્ટ છે, પરંતુ તેના પર સરકારની અસામાન્ય પ્રતિક્રિયા આ સવાલને અવગણે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks