સોમવારે બહુ જ મોટું ઓપરેશન હાથ ધરીને ઈડી તથા સીબીઆઇ અને આવકવેરા વિભાગની ટુકડીઓ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને મટનના વિખ્યાત વેપારીઓ હાજી ઇમરાન તથા હાજી ઈરફાનના વ્યાપારી અને રહેણાંક સ્થળો પર મોટા પ્રમાણમાં દરોડા શરૂ કરવામાં આવ્યા હતા, યુપીના સંભલ જિલ્લામાં આ વેપારીઓ હાજી બંધુઓ તરીકે ઓળખાય છે
(એજન્સી) લખનૌ, તા.૧૪
ઉત્તરપ્રદેશના સંંભલમાં હાજી બંધુઓ તરીકે જિલ્લાભરમાં અને રાજ્યમાં જાણીતા મટનના નામાંકિત વેપારીઓ હાજી ઇમરાન અને હાજી ઈરફાનના આવાસો ઉપર સોમવારે સવારે સીબીઆઇ તથા ઇડી અને આવકવેરા વિભાગની ટુકડીઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આથી સમગ્ર સંંભલ જિલ્લામાં વેપારી વર્ગમાં ખળભળાટ મચી ગયો છે. સરકારના ત્રણેય વિભાગની ટુકડીઓ દિલ્હીથી રવાના થઈ હતી અને સોમવારે વહેલી સવારે લગભગ ૧૦૦ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ૭૦ વાહનોનો એક બહુ મોટો કાફલો સંભલ પહોંચી ગયો હતો અને હાજી બંધુઓના રહેણાંક વિસ્તારો તથા વ્યાપારી સ્થળો પર સંકલિત રીતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એમની ફેક્ટરીઓ તથા એમના મકાનો અને કંપનીના ચાર કર્મચારીઓના મકાનો ઉપર પણ દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી છે અને સૂત્રો એવું જણાવી રહ્યા છે કે નાણાકીય હેરફેર તથા નાણાકીય ગેરરીતિઓના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે. સંભલ કોતવાલી વિસ્તારમાં ચીમય વાલી ગામમાં આવેલી ઇન્ડિયન ફ્રોઝન ફૂડ ફેક્ટરી જે હાજી ઈરફાનની માલિકીની છે તેમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. એ જ રીતે હિમાયત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરાઈ કરી વિસ્તારના હાજી ઈરફાનના ભવ્ય નિવાસ સ્થાનને પણ અધિકારીઓ ઘેરી વળ્યા હતા અને સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. એ જ રીતે કંપનીના અન્ય કર્મચારીઓના નિવાસો ઉપર પણ સર્ચ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તપાસની અને સર્ચની કાર્યવાહીની સાથે સાથે સંખ્યાબંધ મિલકતો અને ફેક્ટરીના સંકુલોને સીલ મારવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયની લાગણી પ્રસરી વળી હતી. વહેલી સવારથી વાહનોમાં ભરાઈ ભરાઈને અધિકારીઓ અને એમના કર્મચારીઓ ધસી આવતા આખા વિસ્તારની કામગીરી અને વ્યવહાર ઠપ થઈ ગયા હતા. હાજી બંધુઓનો મટન વ્યવસાય યુપી તથા હિમાચલ પ્રદેશ અને અન્ય એક ઉત્તર ભારતીય રાજ્ય સુધી ફેલાયેલો છે. મટનના પ્રોસેસિંગ અને ફ્રોઝન ફૂડના તેમના અનેક કારખાના અને ફેક્ટરીઓ આવેલા છે અને આવા અનેક યુનિટ છે. એમના મટન વેપાર સામ્રાજ્યનું ટર્નઓવર રૂપિયા ૧૦૦૦ કરોડ જેવું માનવામાં આવે છે તેઓ ચિકન તથા બકરાનુ મટન અને અન્ય મટનની ચીજ વસ્તુઓની આયાત અને નિકાસ બંને કરે છે. આવકવેરા અને ઈડી તથા સીબીઆઇના સુત્રોએ એવું જણાવ્યું હતું કે મટન વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં નાણાકીય હેરફેર કરવામાં આવી હોવાની અને વ્યાપાર દરમિયાન કરચોરી કરી હોવાની અને હવાલાના કૌભાંડ કર્યા હોવાની પણ શંકા છે અને તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી કોઈ સત્તાવાર રીતે ચાર્જશીટ મૂકવામાં આવી નથી કે કોઈની ધરપકડ થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વેપારીઓના દસ્તાવેજો તથા બેંકના ખાતાઓ અને મિલકતોની વિગતોની ચકાસણી થઈ રહી છે. આ વિસ્તારમાં પીએસસીનો જંગી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં પીએસસી જવાનોને મૂકી દેવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખી રહ્યા હતા. હાજી બંધુઓએ હજુ કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી પણ સ્થાનિક સૂત્રોએ કહ્યું હતું કે તેઓ તપાસમાં પૂરેપૂરો સહકાર આપી રહ્યા છે. જોકે આ મોટી કાર્યવાહીને પગલે સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. રાજકીય અને વ્યાપારી નિરીક્ષકોએ પણ આ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે અને તેઓ એવી દલીલ કરી રહ્યા છે કે મુસ્લિમ સમાજના મટનના નિકાસકાર હોવાથી એમને જ ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને અન્ય સંખ્યાબંધ હિન્દુ અને જૈન મટન નિકાસકારોને ત્યાં કોઈ તપાસ કરવામાં આવતી નથી. વિરોધ પક્ષોએ સમગ્ર કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી અને બદલાની કાર્યવાહી તરીકે વખોડી કાઢી છે જ્યારે ભાજપ તેનો બચાવ કરી રહ્યો છે અને ભ્રષ્ટાચાર સામેના સરકારના સંકલ્પ સમાન કાર્યવાહી ગણાવી રહ્યો છે. જોકે આ કાર્યવાહીથી મુસ્લિમ સમાજમાં તનાવ ઉભો થઈ જવાની પૂરી શક્યતા છે.