
દિવાનચંદ પંડિતના પરિવાર સાથે ઝુબેદા
શ્રીનગર તા. ૧૧
હિઝબુલના ટોચના કમાન્ડર બુરહાની વાનીની હત્યા પછી એક બાજુ કાશ્મીરમાં હિંસાનો ચરૂ ઉકળી રહ્યો છે તો બીજી બાજુ એક મુસ્લિમ પરિવારે કોમી એકતાની મિશાલ પૂરી પાડી છે. કાશ્મીરમાં એક મુસ્લિમ પરિવારે પોતાના મિત્ર પંડિત પરિવારને ખવડાવવા માટે કર્ફ્યુનો ભંગ કરીને માઈલો સુધીની સફર ખેડી. ઝુબેદા બેગમ અને તેમના પતિ ખાદ્ય સામગ્રીનો જથ્થો લઈને શ્રીનગરની સુમસામ શેરીઓ પર ડગ માંડી રહ્યાં હતા ત્યારે પ્રથમ નજરે તો એવું લાગતું હતું કે તેઓ પોતાની જાતને બચાવવા આવું કરી રહ્યાં છે પરંતુ હકીકતમાં ઝુબેદા અને તેમના પતિ પોતાનું જીવન જોખમમા મૂકીને તેમના મિત્ર પરિવારને ખાદ્ય સામગ્રી પૂરી પાડવા માટે જઈ રહ્યાં હતા. હિન્દુ પરિવારે તેમના મુસ્લિમ મિત્રને જેલમ નદી પારથી મદદ માટે ફોન કર્યો હતો. ઝુબેદાએ કહ્યું કે સવારના સમયમાં અમારા હિન્દુ મિત્રોએ ફોન કરીને અમારી પાસેથી મદદની માંગણી કરી હતી. તેમની બીમાર માતા પણ તેમની સાથે રહે છે. તેથી મેં તેમને માટે ખાદ્ય સામગ્રી લઈ જવાનો નિર્ણય કર્યો. કર્ફ્યુના માહોલમાં આ કામ ઘણું મુશ્કેલ છે પરંતુ અમે તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આ દંપતિના જણાવ્યાનુસાર જવાહરનગર વિસ્તારામં દિવાનચંદના ફ્લેટ પર પહોંચતા અમારૂ જે હૂંફાળઉં સ્વાગત થયું તેનાથી અમે અમારૂ જોખમ બિલકૂલ ભૂલી ગયા. દિવાનચંદ પંડિતે કહ્યું કે અહિં તો સહુ કોઈ ભોગ બની રહ્યાં છે અમને કોઈક તો અમારી સહાયે આવ્યું તે જાણીને અમે ખૂબ ખુશ છીએ. દિવાનચંદ અને તેમનો પરિવાર ઘણા લાંબા સમયથી કાશ્મીર ખીણમાં વસી રહ્યો છે. તેઓ ઓલ ઈન્ડીયા રેડિયોમાં કામ કરે છે તો તેમની પત્ની સ્થાનિક શાળા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. કાશ્મીર ખીણમાં હાલાત બગડતાં દિવાનચંદ અને તેમના પરિવારે ઝુબેદાબાનુ અને તેમના પતિની સહાય માંગી હતી.