હિન્દુઓએ સ્વરક્ષા માટે ઘરમાં તલવારો રાખવી જોઈએ RSS નેતા કલ્લાડકા પ્રભાકરનું ઝેરી નિવેદન

(એજન્સી)                                તા.૧
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા કે. પ્રભાકર ભટે, પહલગામમાં તાજેતરના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને સૂચન કર્યું કે ‘હિન્દુઓએ સ્વરક્ષા માટે ઘરમાં તલવારો અને છરીઓ રાખવા જોઈએ.’ સોમવારે કેરળના કાસરગોડ જિલ્લાના મંજેશ્વરના વરકાડીમાં એક કાર્યક્રમમાં બોલતા ભટ્ટે કહ્યું, ‘દરેક હિન્દુના ઘરમાં તલવાર હોવી જોઈએ. જો પહેલગામ હુમલા દરમિયાન હિન્દુઓએ તલવારો બતાવી હોત, તો તે પૂરતું હોત.’ તેમણે મહિલાઓને સામાન્ય વસ્તુઓની સાથે તેમના બેગમાં છરી રાખવા પણ વિનંતી કરી. આરએસએસ નેતાએ દાવો કર્યો હતો કે છ ઇંચની છરી રાખવા માટે ‘લાઇસન્સની’ જરૂર નથી. તેણે કહ્યું, ’જો તમે સાંજ પછી બહાર હોવ તો હુમલો થવાની પ્રબળ શક્યતા છે.’ હુમલાખોરોને વિનંતી ના કરો-ફક્ત તેમને છરી બતાવો અને તેઓ ભાગી જશે. ભૂતકાળના સાંપ્રદાયિક તણાવનો ઉલ્લેખ કરતા ભટ્ટે કહ્યું, ‘પહેલાં, હિન્દુ-મુસ્લિમ અથડામણ દરમિયાન, હિન્દુઓ ભાગી જતા હતા. હવે આ બદલાઈ રહ્યું છે. આપણે ઉભા થવું જોઈએ અને દરેક વ્યક્તિએ ઘરમાં તલવાર રાખવી જોઈએ. આ ટિપ્પણી પર પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ અધિકારી ઇન્દ્રેશ કુમારે મંગળવારે (૨૯ એપ્રિલ, ૨૦૨૫) જમ્મુમાં પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને મુસ્લિમોને આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવા અને તેમને કબ્રસ્તાનમાં સ્થાન ન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો અને તેમને ધર્મ સાથે જોડવું ખોટું છે. ‘જ્યારે તેમના માટે પ્રાર્થના કરવામાં આવે છે, તેમને કબર આપવામાં આવે છે અથવા તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવામાં આવે છે, ત્યારે તે સૂચવે છે કે તેઓ કોઈ ધર્મના પ્રતિનિધિઓ છે, જે સંપૂર્ણપણે ખોટું છે,’ તેમણે પત્રકારોને જણાવ્યું. કુમારે કહ્યું કે જો આ કઠિન નિર્ણય ૨૦-૩૦ વર્ષ પહેલા લેવામાં આવ્યો હોત, તો જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ અલગ હોત. તેમણે પાકિસ્તાનની બર્બરતાને ઉજાગર કરવા માટે પહેલગામમાં એક સ્મારક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન હવે પતનની આરે છે અને સિંધ, બલુચિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સહિત ઘણા ભાગો સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે. તેમણે ભારતીય મુસ્લિમોને વોટ બેંકની રાજનીતિ છોડીને દેશના હિતમાં વિચારવા હાકલ કરી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts