(એજન્સી) તા.૨૫
ઈરાનની જળસીમામાં શુક્રવારે એક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. જોકે, રાહતની વાત એ છે કે આ જહાજ પર સવાર તમામ ૨૮ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે તેમજ સમગ્ર મામલા પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને માહિતી આપી હતી કે, મોઝામ્બિકના ધ્વજ ધરાવતા ‘દિશા’ નામના LPG ટેન્કર પર આ હુમલો કરવામાં આવ્યો હતો. ‘ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઑફ ઇન્ડિયા’ (ભારતીય સમુદ્રી કર્મચારીઓનું સંગઠન) અનુસાર, જ્યારે ટેન્કર પર્સિયન ગલ્ફ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક અજ્ઞાત મિસાઇલ વડે તેના પર પ્રહાર કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલો કોણે કર્યો છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટનાને કારણે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે, જ્યાંથી વિશ્વના લગભગ ૨૦%ઓઇલ અને ગેસની સપ્લાય પસાર થાય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને જુલાઈની શરૂઆતમાં અસ્થાયી યુદ્ધવિરામ તૂટ્યા બાદ આ વિસ્તારમાં વ્યાપારી જહાજોની સુરક્ષા પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતીય દૂતાવાસે આશ્વાસન આપ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.