કરાચી, તા.૯
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ કહ્યું છે કે તે સુરક્ષા કારણોસર આગામી અન્ડર-૧૯ એશિયાકપનું આયોજન ભારતની બહાર તટસ્થ સ્થળે ઈચ્છે છે. ભારતને નવેમ્બરમાં બેંગ્લોરમાં આ ટુર્નામેન્ટની યજમાની કરવાની છે પણ પીસીબીના એક ટોચના અધિકારીએ કહ્યું કે બંને દેશો વચ્ચે હાલની સ્થિતિને જોતા તે એશિયન ક્રિકેટ પરિષદ (એસીબી)ને કોલંબોમાં આ સપ્તાહમાં યોજાનારી બેઠકમાં અપીલ કરશે કે ટુર્નામેન્ટનું સ્થાન બદલવામાં આવે. તેમણે કહ્યું કે હાલના સમયમાં પાકિસ્તાનની અનેક રમતોની ટીમોને વિઝા આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે અને અમને નથી લાગતંુ કે ભારતમાં પરિસ્થિતિ અમારી ટીમના ત્યાં રમવાને અનુકુળ છે. આ સપ્તાહ પીસીબી અધ્યક્ષના ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરા કરનાર શહરયારખાન આ બેઠકમાં એસીસીના ચેરમેન બનશે. શહરયારખાનના ઉત્તરાધિકારીના રૂપમાં પસંદગી પામનારા નઝમ સેઠીએ કહ્યું કે પાકિસ્તાન ઈચ્છે છે કે અન્ડર-૧૯ એશિયાકપનું ભારતમાંથી સ્થળાંતર કરવામાં આવે.