MP : રામ મંદિર માટે ભંડોળ એકત્રીકરણ રેલીમાં‘જલદ સૂત્રો, શસ્ત્રો’  સાંપ્રદાયિક અથડામણ તરફ દોરી ગયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગઢ ગણાતા રાજ્યના માલવા-નીમર ક્ષેત્રના જમણેરી સંગઠનો દ્વારા તમામ સરઘસોનું નેતૃત્ત્વ કરવામાં આવ્યું હતું

(એજન્સી)                                       ભોપાલ,તા.૩૧

છેલ્લા ચાર દિવસથી મધ્યપ્રદેશના ગામોમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે, જે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ સંગ્રહ રેલી દરમિયાન ફાટી નીકળી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગઢ ગણાતા રાજ્યના માલવા-નીમર ક્ષેત્રના જમણેરી સંગઠનો દ્વારા તમામ સરઘસોનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જે મધ્યપ્રદેશના રાજકારણનું કેન્દ્ર છે. ઇંદોરના ચંદન ખેદી ગામમાં ગૌતમપુરા વિસ્તારમાંથી હિંસાની ઘટના સામે આવી છે, જ્યાં સોમવારે ૨૮ ડિસેમ્બરે રામ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ અભિયાન દરમિયાન ઘર્ષણ થયું હતું. જેમાં પાંચ લોકો ઘાયલ થયા છે. ચંદન ખેડી ગામમાં વાતાવરણ તંગ બની ગયું જ્યારે અભિયાનમાં ભાગ લેનારા લોકો એક મસ્જિદની સામે જ રોકાઈ ગયા હતા અને ભજન ગાવાના શરૂ કરી દીધા હતા. તેમણે રસ્તા પર પસાર થનારા વાહનો અને લોકોની અવરજવરને અવરોધી હતી.  જ્યારે ગામના કેટલાક લોકોએ રેલી પાસેથી પસાર થવાનો પ્રયાસ કર્યો ત્યારે અભિયાનના સભ્યોએ તેમની ચહલ-પહલ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે અથડામણ થઈ હતી. અભિયાનની ભંડોળ ઉભું કરવાની રેલીઓ સામાન્ય રીતે મોટર સાયકલ પર હોય છે, જેને ૨૫ અને ૨૮ ડિસેમ્બરની વચ્ચે કાઢવામાં આવી હતી. ભંડોળ સંગ્રહ દરમિયાન કોમી અથડામણની પહેલી ઘટના મંદિરના શહેર ઉજ્જૈનમાં બની હતી.

પથ્થરમારો અને ધ્વંસ : શુક્રવાર, ૨૫ ડિસેમ્બરે ઉજ્જૈનના બેગમબાગ વિસ્તારમાં, આવી જ ભંડોળ ઉભું કરવાની રેલી કાઢવામાં આવી હતી. પોકારવામાં આવેલા જલદ અને ઉશ્કેરણીજનક સૂત્રો અથડામણમાં પરિણમ્યા. આ બનાવના એક દિવસ પછી, સ્થાનિક વહીવટીતંત્ર બેગમબાગ વિસ્તારમાં ગયો અને એક મકાન તોડી નાંખ્યું અને આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને હટાવવાના બહાને આ વિસ્તારની સંપત્તિને નુકસાન કર્યું. આ વિસ્તારમાંથી પથ્થરમારો થયાના અહેવાલોનો આ કથિત જવાબમાં હતો. મૌલાના મોહમ્મદ અહેમદે પૂછ્યું કે જ્યારે કોવિડ-૧૯ના પ્રતિબંધોને કારણે સરઘસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે રેલીને કેવી રીતે બહાર કાઢવાની મંજૂરી આપવામાં આવી. તે જ દિવસે, ધારમાં જે ઉજ્જૈન અને ઇન્દોર જિલ્લાઓ સાથે જોડાયેલો છે, સમાન પ્રકારે અથડામણો થઈ હતી.  ધાર મુસ્લિમ સમાજના એક વડા, અબ્દુલ સમદે ધાર ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે રામ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ અભિયાનના સહભાગીઓએ એક શોભાયાત્રા કાઢી હતી, જેમાં તેઓએ તીક્ષ્ણ હથિયાર પ્રદર્શિત કર્યા હતા અને મુસ્લિમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે તેમણે બાઇક રેલીના ફૂટેજવાળી DVD અને આ સમાચાર આપનાર પ્રાદેશિક હિન્દી દૈનિકની ક્લિપિંગ પણ મૂકી હતી. પત્રમાં દર્શાવાયું છે કે, “મોટાભાગના ટુ-વ્હીલર્સમાં ત્રણ સવારી હતા જેમણે લાઠી, દંડા અને તીક્ષ્ણ શસ્ત્રો રાખ્યા હતા. બાઇક સવાર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પોકારી રહ્યા હતા અને ચોક્કસ સમુદાય પર અભદ્ર ટિપ્પણી કરી રહ્યા હતા.” તેમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રેલી દ્વારા મુસ્લિમ સમુદાયના સભ્યોને નિશાન બનાવીને શહેરની શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો, અને તેમણે આ રેલીમાં ભાગ લેનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અબ્દુલ સમદે કહ્યું, “હું તમને રેલીનું સંજ્ઞાન લેવાની અને રેલીના સંયોજક, આયોજક અને સહભાગીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વિનંતી કરું છું.”

– અનુપ દત્તા   (સૌ. : ધ વાયર.ઈન)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks