કાનો, તા. ૨૧
ઉત્તર પૂર્વ નાઇઝીરિયાની એક મસ્જિદમાં મંગળવારે ભીષણ આત્મઘાતી હુમલામાં ૫૦ નમાઝીઓના મોત થયા હતા. હુમલાની શંકા બોકો હરામના આતંકવાદીઓ પર કરવામાં આવી રહી છે. આદામાવા રાજ્યના પાટનગરથી ૨૦૦ કિલોમીટર દૂર આવેલા ઉંગુવાર શુવા વિસ્તારમાં મદિના મસ્જિદમાં નમાઝ દરમિયાન જ ભીષણ વિસ્ફોટ થયો હતો. અદામાવા રાજ્યના પોલીસ પ્રવક્તા ઓથમન અબુબકરે જણાવ્યું હતું કે, મુબીના ઉંગુવાર શુવા વિસ્તારની મસ્જિદમાં સવારે નમાઝના સમયે થયેલા વિસ્ફોટમાં અત્યારસુધી ઓછામાં ઓછા ૫૦ લોકોના મૃત્યુ થયા છે. તેમણે જણાવ્યંુ હતું કે, વિસ્ફોટમાં ઘણા અન્ય લોકો ઘવાયા હતા. અમારી પાસે ચોક્કસ આંકડા આવી શક્યા નથી. ઘાયલોની ઘણી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ એક આત્મઘાતી હુમલો હતો. હુમલાખોર નમાઝીઓમાં સામેલ થઇ ગયો હતો. તે નમાઝ અદા કરનારા ઘણા લોકો વચ્ચે મસ્જિદમાં ઘુસી ગયો હતો. જે સમયે નમાઝ અદા કરાઇ રહી હતી તે સમયે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. જવાબદાર વ્યક્તિ અથવા સંગઠન વિશે પુછાતા અબુબકરે જણાવ્યું હતું કે આપણે બધા આ પ્રકારના હુમલાઓ વિશે જાણીએ છીએ. આપણે તમામ કોઇ એક વિશે શંકા દર્શાવી શકતા નથી પરંતુ એ જરૂર કહી શકાય કે, હુમલા પાછળ કેવા લોકોનો હાથ હોઇ શકે છે.