(એજન્સી) સંયુક્ત રાષ્ટ્ર, તા. ૩
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની માહિતી અંગેની સમિતિમાં કાશ્મીરમાં માનવાધિકારોના ભંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે આ બાબતનો જોરદાર વિરોધ કરીને જણાવ્યું કે આ મુદ્દો સમિતિના કાર્ય સાથે સુસંગત નથી. સંયુક્ત રાષ્ટ્રની માહિતી અંગેની સમિતિના સત્રને સંબોધતા પાકિસ્તાનના ડેલિગેટ મસૂદ અનવરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કાશ્મીરના લોકોના માનવાધિકારોનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. માહિતી અંગેની સમિતિમાં હાથ ધરાયેલી સામાન્ય ચર્ચા દરમિયાન અનવરે જણાવ્યું કે આજે વિશ્વમાં ઘર્ષણો સર્જાય છે જ્યારે અમે અંતિમવાદ અને ત્રાસવાદ સામેની લડતમાં એકતા જાળવી રાખી છે. તેમણે એવું પણ જણાવ્યું કે તનાવ દૂર કરવામાં સંયુક્ત રાષ્ટ્રનો જાહેર માહિતી વિભાગ (ડીપીઆઇ) મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કાશ્મીરમાં માનવ અધિકારોનો ભંગ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ચિંતાની બાબત છે. તેમણે જ્યાં માનવ અધિકારોનો ખરાબ રીતે ભંગ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને રોહિંગ્યા, કાશ્મીરીઓ અને પેલેસ્ટાઈનીઓની સ્થિતિ પર પ્રકાશ પાડવાની ડીપીઆઇને પાકિસ્તાની ડેલિગેટે અરજ કરી છે.