(એજન્સી) જીદ્દાહ,તા.ર૩
તાજેતરમાં સઉદી અરબ, બેહરીન, ઇજિપ્ત અને યુએઇ દ્વારા કતાર સાથેના દરેક રાજકીય સંબંધોનો અંત આણવામાં આવ્યો છે અને તેની સાથે દરેક પ્રકારના સંબંધો જેમ કે ટ્રાન્સપોર્ટેશન, સરહદી તથા આર્થિક સંબંધો અટકાવી દેવામાં આવ્યાં છે. જોકે તાજેતરમાં જ સઉદીના હજ અને ઉમરાહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ગલ્ફ દેશોમાં ચાલતાં વિવાદને નેવે મૂકી સઉદી કિંગડમ કતારથી હજ અને ઉમરાહ કરવા આવતા દરેક હાજીઓનું માનભેર સ્વાગત કરીએ છીએ. મંત્રાલયે વધુમાં ઉમેરતાં કહ્યું કે આતંકવાદને સમર્થન આપવાના આરોપ હેઠળ આતંક વિરોધી સમૂહ દ્વારા કતાર સામે જે કાર્યવાહી કરવામાં આવી છે તેને નેવે મૂકી હાજીઓ પવિત્ર હજ યાત્રા માટે સઉદી આવી શકે છે. મંત્રાલયે કહ્યું કે ઉમરાહ માટે આવતાં કતાર એરવેઝના દરેક વિમાનોને સઉદી અરબ દ્વારા લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવે છે. સઉદી અરબ જનરલ ઓર્થોરિટી ફોર સિવિલ એવિએશન(જીએસીએ)ના જણાવ્યા પ્રમાણે કતારના નાગરિકોએ સઉદીના રિલેટિવ સંસ્થાનો પાસેથી વિઝાની સાથે સાથે હજયાત્રા પરમિટ મેળવવું પડશે. ત્યારબાદ જ તેમને દોહાથી ગમે તે એરક્રાફ્ટ મારફતે સઉદી અરબની યાત્રાની મંજૂરી આપવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું કે કતારથી આવતા દરેક વિમાનને જિદ્દાહના કિંગ અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા મદીનાના પ્રિન્સ મોહમ્મદ બિન અબ્દુલ અઝિઝ એરપોર્ટ પર જ ઉતરાણ આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ વર્ષે ઉમરાહના શ્રદ્ધાળુઓ દ્વારા કુલ ૬.૭પ મિલિયન વિઝા અરજી આવી છે.