પેલેસ્ટીનના લોકોએ ‘યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર જમીન અને તેમના ભવિષ્ય પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ,’ એમ પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે શાંતિ બોર્ડની બેઠકમાં જણાવ્યું
(એજન્સી) ઇસ્તંબુલ, તા.૨૦
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ ગુરૂવારે વોશિંગ્ટનમાં શાંતિ બોર્ડની શરૂઆતની બેઠકમાં ગાઝામાં આંતરરાષ્ટ્રીય શાંતિ દળમાં ૮,૦૦૦ ‘કે તેથી વધુ’ સૈનિકો મોકલવાનું વચન આપ્યું હતું. અવરોધો અને મુશ્કેલીઓ હોવા છતાં “અમે ખૂબ આશાવાદી છીએ કે (યુએસ) રાષ્ટ્રપતિ (ડોનાલ્ડ) ટ્રમ્પના નેતૃત્ત્વમાં વાસ્તવિક શાંતિનું આ વિઝન પ્રાપ્ત થશે,” તેમણે કહ્યું, “સમસ્યાઓ હશે, પરંતુ અમે જીતીશું.” “અમે પેલેસ્ટીનમાં શાંતિ પેલેસ્ટીની સમસ્યા અને ગાઝામાં કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલનું અમારૂં સ્વપ્ન પ્રાપ્ત કરીશું,” તેમણે ઉમેર્યું. યુદ્ધવિરામની સિદ્ધિઓ “વાસ્તવિક” છે. તેથી “જો જરૂરી હોય તો અમે ૮,૦૦૦ કે તેથી વધુ સૈનિકોનું યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ; અમે આ શાંતિ કાર્ય કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળમાં સક્રિયપણે ભાગ લેવા માટે સૈનિકોનું યોગદાન આપવા તૈયાર છીએ,” પ્રબોવોએ ઉમેર્યું. અલગથી પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે કાર્યક્રમ દરમિયાન, “સંબંધિત ઠરાવો અનુસાર પેલેસ્ટીનના સ્વતંત્ર, સાર્વભૌમ અને સંલગ્ન રાજ્યની સ્થાપના દ્વારા પેલેસ્ટીનના સ્વ-નિર્ણયના વિશ્વસનીય માર્ગ તરફ સહયોગ કરવાનો આગ્રહ કર્યો.””પેલેસ્ટીનના લોકોએ લાંબા સમયથી ગેરકાયદેસર કબજો અને અપાર વેદના સહન કરી છે અને લાંબા ગાળાની શાંતિ પ્રાપ્ત કરવા માટે પુનઃર્નિર્માણ પ્રયાસો પહેલાં જીવન બચાવવા માટે યુદ્ધવિરામ ઉલ્લંઘનનો અંત લાવવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે,” શરીફે કહ્યું, પેલેસ્ટીનીઓએ “યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર જમીન અને તેમના ભવિષ્ય પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું જોઈએ.” શરીફે ટ્રમ્પને “દક્ષિણ એશિયાના સાચા તારણહાર” પણ કહ્યા. ટ્રમ્પે ચાર દિવસ સુધી હુમલાઓના વિનિમય પછી ૧૦ મેના રોજ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.
“ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ હાંસલ કરવા માટે તમારા સમયસર અને ખૂબ જ અસરકારક હસ્તક્ષેપથી લાખો લોકોનું નુકસાન ટાળી શકાય છે,” શરીફે ટ્રમ્પને કહ્યું.