રફાહ વિસ્તારમાં ૩૨ જેટલા નાગરિકોનાં મોત થયા આજે ભોજન માટે સહાય કેન્દ્ર ઉપર રાહ જોઈ રહ્યા હતા તેમ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની યાદીમાં જાહેર કરવામાં આવ્યું
(એજન્સી) તા.૧૯
ઇઝરાયેલ દ્વારા ફરી એકવાર ગાઝા વિસ્તારમાં અનાજ સહાય કેન્દ્ર પર ભોજનની રાહ જોઈ રહેલા અને કતારમાં ઉભેલા પેલેસ્ટાઇન નાગરિકો પર ફરી એકવાર જોરદાર હુમલા કરવામાં આવતા ૫૦થી વધુ નાગરિકોના મોત થયા હોવાનું વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાંથી ૩૨ લોકો તો રફા ખાતેના અનાજ સહાય કેન્દ્ર પર જ માર્યા ગયા હોવાનું જાહેર થયું છે.ભૂખથી તડપતા લોકોને ફૂડ સહાય કેન્દ્ર પર ખતમ કરવાની આ નવી ભયાનક અને દમનકારી નીતિ રીતિ ઇઝરાયેલ દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેના પરિણામે આવા સહાય કેન્દ્રો પર જઈ રહેલા પેલેસ્ટીની નાગરિકો ઇઝરાયેલી લશ્કરના ગોળીબારનો ભોગ બની રહ્યા છે. ગાઝા વિસ્તારમાં હવે ભયાનક ભૂખમરાની પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે ત્યારે ફૂડ સહાય કેન્દ્ર ઉપર ગોળીબારને કારણે રોજેરોજ નિર્દોષ પેલેસ્ટાઇન નાગરિકોના મોત થઈ રહ્યા છે.લડાકુ સંગઠન હમાસ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું કે યુદ્ધવિરામ માટેની દરખાસ્ત ઇઝરાયેલ દ્વારા ફગાવી દેવામાં આવી છે. એ દરખાસ્તમાં તમામ બંધકો છોડી મૂકવા માટેની હમાસ દ્વારા ઓફર કરવામાં આવી હતી પરંતુ ઇઝરાયેલ દ્વારા દરખાસ્ત ફગાવી દેવામાં આવ્યા બાદ લડાકુ સંગઠન હમાસ દ્વારા પડકાર કરવામાં આવ્યો છે કે જો યુદ્ધ લાંબુ ચાલે અને કોઈ પણ સમજૂતી ન થાય તો પણ સંગઠન તૈયાર છે. ઇઝરાયેલના આક્રમણથી અત્યાર સુધી ૫૮,૦૦૦થી વધુ પેલેસ્ટીન નાગરિકોના મોત થયા છે અને ૧,૩૯,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.