વડોદરામાં “ગુજરાત ટુડે”ને વધુ મજબૂત બનાવી ઘેર-ઘેર મંગાવવા સુહેલભાઈની હાકલ ઙ્મ “ગુજરાત ટુડે”એ ગ્લેમરસ અખબાર નથી, પરંતુ ઈન્ફર્મેટિવ અખબાર છે, તે એની ખાસિયત છે : નઈમબેગ મિર્ઝા
(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.ર૮
સાચી રાહ પર અને ઈમાન પર ચાલશો તો તકલીફ આવવાની છે. પરંતુ સાથે મળીને ચાલશું તો કઠિન તકલીફો પણ દૂર થઈ શકે છે. “ગુજરાત ટુડે” આજે મુસ્લિમોનો અવાજ બની ગયું છે તો તેને મજબૂત કરવાની જરૂર છે. આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું તો જ શક્ય છે. તેમ આજે વડોદરા ખાતે “ગુજરાત ટુડે” દ્વારા યોજવામાં આવેલ ઈદ મિલન સમારંભમાં “ગુજરાત ટુડે”ના પ્રસિદ્ધકર્તા લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ પ્રેસિડેન્ટ સુહેલભાઈ તિરમીઝીએ જણાવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહેમાનોને “ગુજરાત ટુડે”ને વધુમાં વધુ લોકો મંગાવી વાંચે તેવી હાકલ કરી હતી.
સયાજીગંજ વિસ્તારમાં આવેલ હોટેલ સફાયર રેજન્સી ખાતે આજે “ગુજરાત ટુડે” દ્વારા ઈદ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સુહેલભાઈ તિરમીઝી સહિત અતિથિ વિશેષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી નઈમબેગ મિર્ઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નઈમબેગ મિર્ઝાએ જણાવ્યું હતું કે, “ગુજરાત ટુડે”એ આપણી કોમનું રાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ કરતું પેપર છે. જેને આપણે બધાએ મળીને ખૂબ મજબૂત બનાવવાની જરૂરત છે. “ગુજરાત ટુડે” એક માત્ર એવું પેપર છે,
જે મુસ્લિમ સમાજ અને દેશ-વિદેશના સમાચારો અને ઇન્ફોર્મેશન આપતું ન્યૂઝ પેપર છે, જે એ સમાચારો આપણા સુધી પહોંચાડે છે, જે સમાચારો આપણા સુધી પહોંચતા નથી. “ગુજરાત ટુડે” એક એવો પ્લેટફોર્મ છે, જે આપણા સમાજનું એક પ્રતિબિંબ છે, જે આપણને સમાચારો સાથે આપણું ઉજ્જવળ ભવિષ્ય કેવી રીતે બનાવી શકીએ, તે અંગે સંપૂર્ણ માહિતી આપે છે, જે આપણને સમજવાની જરૂર છે. આજે આવા આપણી કોમનું અવાજ બની ચૂકેલા અખબારને વધુમાં વધુ મજબૂત બનાવવાની જરૂર છે. નઈમબેગ મિર્ઝાએ ઉપસ્થિત તમામને “ગુજરાત ટુડે” મંગાવવા અને અન્યોને પણ “ગુજરાત ટુડે” મંગવાવા અપીલ કરી વધુમાં વધુ સરક્યુલેશન વધારી અને જાહેરાતો આપી “ગુજરાત ટુડે”ને વધુ મજબૂત કરવાની હાકલ કરી હતી. “ગુજરાત ટુડે”એ ગ્લેમરસ અખબાર નથી. પરંતુ ઇન્ફોર્મેટિવ અખબાર છે.
સુહેલભાઇ તિરમીઝી એ જણાવ્યું હતું કે, “ગુજરાત ટુડે”એ આપણું અખબાર છે, જે સમાજમાં મુસ્લિમો પર થતાં અત્યાચારો સામે પોતાના નિષ્પક્ષ અને નિડર સમાચારો પ્રકાશિત કરતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ “ગુજરાત ટુડે” એજ નીડરતાથી સમાચારો પ્રકાશિત કરતુ રહેશે. જ્યારે તમે સાચી રાહ પર અને ઈમાન પર હોવ ત્યારે તમને તકલીફો તો આવવાની જ છે. પરંતુ આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ તો તમામ તકલીફ દૂર થઈ શકે છે. માટે “ગુજરાત ટુડે”ને સાથ સહકાર આપીએ તો “ગુજરાત ટુડે” વધુ મજબૂતી સાથે તમારો અવાજ ઉઠાવતું રહેશે. વડોદરાના લોકો હંમેશા સાથ સહકાર આપતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ આપ સૌ સહકાર, આર્થિક સહાય અને જાહેરાત આપી તેમજ વધુમાં વધુ લોકો “ગુજરાત ટુડે” મંગાવે તેવી અપીલ તેમણે કરી હતી.
આ ઈદ મિલન સમારંભ દરમિયાન સુહેલભાઈ તિરમીઝી, નઈમબેગ મિર્ઝા, મુસ્લિમ અગ્રણી નીસારમિયા, અઝીઝ સૈયદ, સમીરબાવા, શરીફ કાપડિયા, હોટેલ સફાયર રેજેન્સીના ફરીદભાઈ ખીલજી તેમજ વડોદરાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, રાજકારણીઓ તેમજ શિક્ષણવિદો, તબીબો તેમજ વડોદરાના અગ્રણી મુસ્લિમ મહિલાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ “ગુજરાત ટુડે”ને વધુ મજબૂત બનાવવા પોતાના સૂચનો આપ્યા હતા.
આ ઈદ મિલન કાર્યક્રમનું સંચાલન કરવામાં વડોદરાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.
“ગુજરાત ટુડે”ના બ્યૂરો ચીફ શરીફભાઈ કાપડિયાએ પોતાની માંદગીના લીધે નિવૃત્તિ જાહેર કરેલ અને તેમની સેવાને તમામ લોકોએ આવકારેલ અને સલાહ સૂચન માટે તેઓ હંમેશા તૈયાર રહેશે. સફાયર હોટલના માલિક ફરીદભાઈ ખીલજીના યોગદાન બદલ સૌએ તેમનો ખૂબ જ આભાર માન્યો હતો.