(એજન્સી) તા.૧૭
ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં માર્ગ અકસ્માત બાદ એક મુસ્લિમ યુવક પર હુમલો કરવાના આરોપમાં પોલીસે પાંચ કાવડિયાઓની અટકાયત કરી છે. ગંભીર રીતે ઘવાયેલા ૨૪ વર્ષીય અઝીમ નામના યુવકનું દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક અઝીમ મુરાદાબાદનો નિવાસી હતો અને પોતાના પરિવારમાં પત્ની, એક નાનું બાળક તથા બીમાર પિતાને છોડી ગયો છે. આ ઘટના ૩૧ જુલાઈની વહેલી સવારે બની હતી જ્યારે અઝીમ મિની ટ્રક ચલાવીને નેશનલ કેપિટલ રીજન (NCR) તરફ પોતાના કામે જઈ રહ્યો હતો. શિવ ઢાબા અને બ્રિજઘાટ ટોલ પ્લાઝા નજીક તેની ટ્રક રસ્તા પર ઊભેલી એક ઓટો-રિક્ષા સાથે અથડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ઓટો ચાલક ૧૯ વર્ષીય ફરમાન ગંભીર રીતે ઘવાયો હતો. ઘટના સમયે ગંગાજળ લેવા જઈ રહેલા કાવડિયાઓ અને ફરમાનના સાથીઓએ અકસ્માત બાદ અઝીમ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અઝીમને પ્રાથમિક સારવાર બાદ મેરઠ અને ત્યારબાદ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે કોમામાં રહ્યા બાદ ૪ ઓગસ્ટે તેનું મૃત્યુ થયું હતું. ગઢમુક્તેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારી દેવેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, અઝીમના પિતા ઇન્તેઝારની ફરિયાદના આધારે મનીષ સિસોદિયા, શિવમ, લોકેશ, અંકિત અને દક્ષ નામના પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી દક્ષની નિશાનદેહી પરથી હુમલામાં વપરાયેલું લાકડી-દંડુ પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે બે અલગ-અલગ એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પ્રથમ એફઆઈઆર અઝીમના પિતાએ હુમલો કરનારાઓ અને ફરમાન સામે નોંધાવી હતી, જ્યારે બીજી એફઆઈઆર ફરમાનના પિતા ઇમરાને અઝીમ સામે નોંધાવી હતી. ઇમરાને આરોપ લગાવ્યો હતો કે અઝીમે તેના પુત્ર પર જાણીબુજીને વાહન ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ બંને બાજુથી કાનૂની તપાસ ચાલી રહી છે અને હાલ આ કેસમાં અન્ય કોઈ આરોપી બાકી નથી.