(એજન્સી) તા.૧૪
રવિવારે અમેરિકી સેનાએ આપેલી માહિતી મુજબ ઇરાકમાં કોમ્બેટ ઓપરેશન દરમિયાન બે અમેરિકી સૈનિકોનાં મોત થયા હતા. જોકે કેટલાક આંતરિક અહેવાલો સંકેત આપે છે કે આ કોઇ શત્રુઓ સાથેની અથડામણને કારણે મોત થયા નથી. આર્મીના નિવેદનમાં જણાવાયું છે કે અન્ય પાંચ સૈનિકો પણ ઘવાયા છે. જોકે આ મામલે વધુ માહિતી આપવામાં આવી નથી કે કોઇ સૈનિકની ઓળખ જાહેર કરવામાં આવી. ઇરાકમાં આઈએસ સામે બાથ ભીડી રહેલી અમેરિકી સેનાના કમાન્ડર લે.જનરલ સ્ટિફન ટાઉનસેન્ડે જણાવ્યું કે અમારા જે સૈનિકો શહીદ થયા છે તે અમારા હીરો હતા અને તેમના પરિવારો, મિત્રો અને ટીમના સાથીઓ પ્રત્યે અમારી સહાનુભૂતિ છે અને અમે ભારે દુઃખ વ્યક્ત કરીએ છીએ.
તમને જણાવી દઈએ કે ઇરાકમાં આઇએસના આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે અમેરિકી સેનાના લગભગ પ૦૦૦ જેટલા સૈનિકો તહેનાત કરાયા છે. આ સૈનિકો ઇરાકી સેનાના જવાનોને આઇએસનો ખાત્મો બોલાવવા મદદ કરે છે અને ગુપ્તચર રીતે માહિતી મેળવે છે અને તેને શેર કરે છે. આ માહિતી પેન્ટાગોને આપી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી અથડામણને જોતાં અમેરિકી સૈનિકો આગળને આગળ જોવા મળ્યા છે. રવિવારે પણ બે સૈનિકોનાં મોત થયા અને મોસુલ પર વિજય મેળવવા માટે પણ જ્યારે આઇએસે બાથ ભીડી હતી ત્યારે પણ પાંચ અમેરિકી જવાનોનાં મોત થયા હતા. મોસુલના યુદ્ધમાં લગભગ ૧ર૦૦ જેટલા ઇરાકી સૈનિકોનાં મોત થયા છે જ્યારે ૬૦૦૦ જેટલા સૈનિકો ઘવાયા છે. આ માહિતી અમેરિકાના સંરક્ષણ પ્રધાન જીમ મેટીસે આપી હતી. જુલાઇ મહિનામાં જ ઇરાકના વડાપ્રધાન હૈદર અલ અબાદીએ મોસુલમાં ઇરાકી સેનાના વિજયની જાહેરાત કરી દીધી હતી.