(એજન્સી)
ઈસ્લામાબાદ, તા. ૧૪
પાકિસ્તાની વડાપ્રધાન શાહીદ ખકાન અબ્બાસીએ સોમવારે વિશ્વ સમૂદાયને કાશ્મીર વિવાદમાં અસરકારક અને હકારાત્મક ભૂમિકા ભજવવાની હાકલ કરી છે. પાકિસ્તાની સ્વતંત્રા દિવસની પૂર્વસંધ્યાએ પોતાના રાષ્ટ્રજોગ ભાષણમાં દેશવાસીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે વિશ્વ સમૂદાય યુએન ઠરાવને અનુરૂપ પ્રાદેશિક વિવાદ ખાસ કરીને કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવામાં ભૂમિકા ભજવવી જોઈએ. પાકિસ્તાન વિશ્વના તમામ દેશો સાથે હકારાત્મક સંબંધો જાળવી રાખવા ઈચ્છુક છે જે અખંડિતતાને આધારે છે. દક્ષિણ એશિયાના લોકોએ છેલ્લા ૫૦ વર્ષમાં વિવાદોને પરિણામે ખૂબ વેઠ્યું છે. આ વિવાદનું શાંતિપૂર્ણ રીતે ઉકેલ ન આવે ત્યાં સુધી આ પ્રદેશના લોકો એ પ્રગતિ અને સમૃદ્ધિ હાંસલ કરી શકશે નહીં. દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના વખાણ કરતાં અબ્બાસીએ કહ્યું કે આપણે આપણા નેતાઓના બલિદાનના ખૂબ ઋણી છીએ અને આપણે પાકિસ્તાનને મુક્ત અને સ્વતંત્ર દેશ બનાવીને આ ઋણ ચુકવી શકીએ છીએ. મજબૂત અર્થતંત્ર મજબૂત સંરક્ષણની ખાતરી કરાવી શકે છે તેવું આગ્રહપૂર્વક બોલતાં અબ્બાસીએ કહ્યું કે સહનશીલ સમૂદાય દેશની સ્થિરતાની ખાતરી આપી શકે છે જ્યાં લોકો તેમના મૂભળૂત અધિકારો અને રાષ્ટ્રીય સંપદાનો ઉપયોગ કરતા હોય છે.