નવી દિલ્હી, તા.૧૧
પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને ભારતીય ક્રિકેટ ટીમના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને બે વર્ષ માટે ટીમ ઈન્ડિયાના કોચ બનાવાયા છે. શાસ્ત્રી વર્લ્ડકપ ર૦૧૯ સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. કોચની રેસમાં શાસ્ત્રી ઉપરાંત વિરેન્દ્ર સહેવાગ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટોમ મૂડીનું નામ ચાલી રહ્યું હતું. પણ સીએસીએ શાસ્ત્રીનું નામ જાહેર કર્યું જે કપ્તાન કોહલીની પણ પસંદ છે. આ પહેલાં મંગળવારે તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની પસંદગીમાં એક નવો વણાંક આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઈનું કામકાજ જોવા માટે બનાવાયેલી સંચાલકોની સમિતિ (સીઓએ)એ બોર્ડને કહ્યું કે રાષ્ટ્રીય ટીમના કોચના નામની જાહેરાત આજે જ કરવામાં આવે. સૂત્રોની માનીએ તો સીઓએ માનતું હતું કે કોચના નામની જાહેરાત માટે કોઈની રાહ જોવી જોઈએ નહીં અને ક્રિકેટ સલાહકાર સમિતિ પોતાનો નિર્ણય બોર્ડને જણાવે. આ પહેલાં ત્રણ સભ્યોની સમિતિ (સીએસી)એ કોચ પસંદગી પ્રક્રિયાને નાટકીય વણાંક આપતાં પોતાનો નિર્ણય અટકાવી દીધો હતો અને કહ્યું હતું કે તે ટીમના કપ્તાન કોહલી સાથે વાત કર્યા બાદ કોચના નામની જાહેરાત કરશે.