• મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરિટ સ્કોલરશીપ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, બક્ષીપંચના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
• આર્થિક સહાય અને સ્કોલરશીપ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થાય તે માટે તાત્કાલિક નિર્ણય કરવા કોંગ્રેસની મુખ્યમંત્રીને વિનંતી
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૨૩
રાજ્યમાં આવેલ મેડિકલ, ડેન્ટલ, આર્યુવેદ, હોમિયોપેથી અને પેરામેડિકલ અભ્યાસક્રમ સહિત વિવિધ વ્યવસાયિક ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મળવાપાત્ર મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરિટ સ્કોલરશીપ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના વિદ્યાર્થીઓને આર્થિક સહાય, સ્કોલરશીપ આજદિન સુધી સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી નથી. આથી ઉક્ત વિદ્યાર્થીઓને મળવાપાત્ર આર્થિક સહાય-સ્કોલરશીપ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થાય તે માટે તાત્કાલીક નિર્ણય કરવા કોંગ્રેસ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
સરકારના ડિજિટલ સ્કોલરશીપ પોર્ટલ, એમવાયએસવાય પોર્ટલમાં વિદ્યાર્થીઓએ સમયસર રિન્યુ માટે, નવા શૈક્ષણિક સત્ર માટે જરૂરી કાર્યવાહી કરી હોવા છતાં વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. બીજીબાજુ સરકારી, સોસાયટી અને ખાનગી કોલેજોના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણિક કાર્ય શરૂ થયું ના હોવા છતાં ફી માટે કડક ઊઘરાણી કરી રહ્યા છે અને દબાણ કરીને ફી ભરવા મજબૂર કરી રહ્યા છે. ફી નહીં ભરે તો પરીક્ષા ફોર્મ અને રજિસ્ટ્રેશનની આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ દબાણ કરી રહ્યા છે. પરિણામે સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓ વ્યાપક પ્રમાણમાં આર્થિક હાલાકી હોવા છતાં ગમે તેમ કરીને ફીની ઊંચી રકમ ભરવા માટે મજબૂર બન્યા છે.
રાજ્યમાં છ સરકારી, સોસાયટીની આઠ અને સેલ્ફ ફાઈનાન્સ ૧૫ કોલેજોમાં ૫૫૦૦ બેઠકો છે. સરકારી કોલેજમાં ૨૫,૦૦૦ વાર્ષિક ફી, સોસાયટીની કોલેજમાં ૩.૫૦થી ૧૫ લાખ અને સેલ્ફ ફાઈનાન્સમાં ૮ લાખથી ૨૮ લાખ સુધીની ફી વસૂલવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં ૨૧ માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ છે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થયા પછી હજુ ક્યારે તબીબી શિક્ષણ શરૂ થાય તે અંગે અનિશ્ચિતતા પ્રવત્તી રહી છે. આ સંજોગોમાં જ્યારે તબીબી શિક્ષણ જ ૧૦ મહિના જેટલા સમયથી સંપૂર્ણ બંધ છે ત્યારે, મેડિકલ કોલેજો સહિતની સંસ્થાઓમાં વહીવટી ખર્ચ, લેબોરેટરી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, ઈલેક્ટ્રીસીટી ખર્ચા થયા નથી. બીજીબાજુ મંદી, મોંઘવારીથી આર્થિક હાલાકી ભોગવી રહેલા સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોને કોરોના મહામારી-લોકડાઉનને લીધે ભારે આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયા છે. આ સંજોગોમાં રાજ્યના તબીબી શિક્ષણ સ્મ્મ્જી, સ્ડ્ઢ, સ્જી, મ્ડ્ઢજી, મ્છસ્જી, મ્ૐસ્જી અને પેરામેડિકલ શિક્ષણની એક સત્રની ફી માફ કરવા રાજ્યપાલ અનેે મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ દ્વારા વિસ્તૃત તાર્કિક કારણો સાથે લેખીત-રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, બે વખત લેખીતમાં સમગ્ર રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એક સત્ર ફી રાહત માટે પુનઃ રજૂઆત કરવામાં આવી હતી. વડી અદાલતે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાવ્યું છે, પણ આજદિન સુધી ફી માફીનો નિર્ણય કરવામાં આવેલ નથી. આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાકીદે એક સત્રની ફી માફ કરવા માટે નિર્ણય કરવા સાથોસાથ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરિટ સ્કોલરશીપ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના વિદ્યાર્થીઓને મળવા પાત્ર આર્થિક સહાય-સ્કોલરશીપ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં તાત્કાલીક જમા થાય તે માટે તાત્કાલીક નિર્ણય કરવા વિનંતી કરી છે.