IPS અધિકારી બન્યાં પહેલા જયેષ્ઠા મૈત્રી મધ્યપ્રદેશ પોલીસમાં DSP તરીકે સેવા બજાવી રહ્યાં હતાં
(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
રાજસ્થાનના ભીવાડીમાં હાલ ફરજ બજાવી રહેલ એસ.પી જયેષ્ઠા મૈત્રી પર જાસૂસી કરવાના આરોપસર સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આ ઘટના પછી અધિકારી વિશે અને એમની જાણકારી માટે લોકોમાં ખૂબ જ જિજ્ઞાસા ઊભી થઈ હતી. એમના વિશે જાણવા અનેક લોકોએ ઓનલાઇન એપ ઉપર ધસારો કર્યો અને એ પછી એમના પર જાસૂસી શું કામ કરવામાં આવી રહી હતી અને આવું શું કામ બન્યું ? એ બધું બહાર આવ્યું હતું. આઇપીએસ ઓફિસર બન્યા પહેલા તેમણે મધ્યપ્રદેશ પોલીસમાં ડીએસપી તરીકે સેવા બજાવી હતી. તેઓ મધ્યપ્રદેશના ગુના વિસ્તારના છે અને ૨૦૧૮ની બેચના આઈપીએસ અધિકારી છે. શરૂઆતથી જેમને ભારતીય પોલીસ સેવામાં જોડાવાની તમન્ના હતી. તેમણે જેપી ઇન્સ્ટિટયૂટમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી લીધા બાદ એમના બીટેકના અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં આ મહિલાએ સાહસ કરીને મધ્યપ્રદેશ જાહેર સેવા પંચની પરીક્ષા આપી હતી અને પહેલા જ પ્રયાસે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ડીએસપી બન્યા હતા. તાલીમ બાદ આ મહિલા જયેષ્ઠા મૈત્રીને મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં પહેલું પોસ્ટિંગ અપાયું હતું અને એ દરમિયાન ફરજ ઉપર હતા ત્યારે પણ તેમણે યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી હતી અને એમને મોરેનાના એસપી આદિત્ય પ્રતાપસિંગનું માર્ગદર્શન મળ્યું હતું. તમને તાલીમ સવારે ૪ઃ૩૦ વાગ્યાથી શરૂ થઈ જતી હતી અને એકદમ વ્યસ્ત તાલીમ કાર્યક્રમ હોવા છતાં તેમણે છ મહિનાની તૈયારીમાં જ યુપીએસસી પરીક્ષા ઉત્તીર્ણ કરી લીધી હતી. એક ટોકશોમાં તેમણે જણાવ્યું હતું કે મારી ડીએસપીની ફરજ અને તાલીમ દરમિયાન પણ મેં મારી યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ ચાલુ જ રાખી હતી. તેમણે વિદ્યાર્થીઓને એક પદ્ધતિસરનો અભિગમ અપનાવવાની સલાહ આપી હતી. એમના સખત પરિશ્રમનું સુંદર પરિણામ મળ્યું હતું અને એમણે યુપીએસસી પરીક્ષામાં રાજસ્થાની કેડરમાં ૧૫૬મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો ત્યારથી તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવી રહ્યા છે. એમના પિતા ગિરીશચંદ આર્ય મધ્યપ્રદેશ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં સેવા આપે છે અને એમના માતા મંજુ ગુનાની સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે.