(એજન્સી) તા.૧૪
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ૧૧ ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટના ત્યારે જ પ્રકાશમાં આવી જ્યારે બચી ગયેલ છોકરીઓ અને તેમના પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઝારખંડના પલામુ જિલ્લામાં દુર્ગા પૂજા મેળામાંથી ઘરે પરત ફરતી વખતે બે છોકરીઓ પર કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (છતરપુર) અવધ યાદવે જણાવ્યું હતું કે, આ ઘટના ૧૧ ઓક્ટોબરના રોજ બની હતી પરંતુ ઘટનાની જાણ ત્યારે થઈ હતી જ્યારે બચી ગયેલ છોકરીઓ અને તેમના પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીઓ સરાઈદીહમાં મેળામાં હાજરી આપીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે છ આરોપીઓએ તેમને અધવચ્ચે અટકાવી હતી અને દુષ્કર્મ આચર્યું. છોકરીઓ કોઈક રીતે ઘરે પહોંચવામાં સફળ રહી અને તેમના પરિવારના સભ્યોને તેમની વિતકકથા જણાવી. શરૂઆતમાં પંચાયત સ્તરે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યુવતીઓએ ફરિયાદ નોંધાવવા પોલીસનો સંપર્ક કર્યો હતો. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. છ આરોપીઓમાંથી ગામના વડાના પુત્ર સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે હજુ ફરાર છે.