નવી દિલ્હી, તા.૨૪
કોરોનાના વધતા કેસની વચ્ચે ક્રિકેટની વાપસીની આશા પર મોટો ફટકો વાગ્યો છે. બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડની સાથે રમાનારી ઘરેલું સીરિઝને રદ્દ કરી દીધી છે. ન્યૂઝીલેન્ડને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું કે, તે ખેલાડી અને સ્ટાફને લઈને કોઈ ખતરો ઊઠાવવા માંગતું નથી. બીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું, હાલની કોવિડ-૧૯ મહામારીને જોતા ઓગસ્ટ ૨૦૨૦માં એક પૂર્ણ ક્રિકેટ સીરિઝની મહેમાની કરવાની તૈયારીઓ કરવી પડકારરૂપ બનશે અમે ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને સંબંધિત હિતધારકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને કોઈ ખતરો નથી લેવા માંગતા. તેમને કહ્યું કે, આ સ્થિતિમાં, બીસીબી અને એનજેડસીએ મળીને સીરિઝને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. અમને લાગે છે કે, આનાથી ખેલાડીઓ અને અધિકારીઓ તથા બંને ટીમોમાં ઊંડી નિરાશા ફેલાશે. પણ મને લાગે છે કે, ન્યૂઝીલેન્ડ પણ આ સ્થિતિને સમજે છે. બાંગ્લાદેશને ન્યૂઝીલેન્ડની બે મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે, જે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. આ પહેલાં બાંગ્લાદેશ-ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનારી સીરિઝને પણ રદ્દ કરી ચૂક્યું છે.