અમદાવાદ, તા.ર૬
૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીની નિમિત્તે ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા આયોજિત ગુજરાત અને રાજસ્થાનમાં ૧૯૭૧ કિલોમીટર લાંબી સાયકલ રેલીને ૮૭ વર્ષીય માનદ કેપ્ટન ગુમાનસિંહએ રેલીને સવારે ૭ વાગ્યે લખપત પોસ્ટ વિસ્તારમાંથી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સાયકલ રેલી મારફતે ગ્રામીણ લોકોમાં કોવિડ-૧૯ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે જેની મૂળભૂત થીમ સામાજિક અંતર, માસ્ક-સેનિટાઈઝેશન (જીસ્જી) રહેશે. આ રેલી મારફતે ભૂતપૂર્વ જવાનો, યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો, શારીરિક હાનિ પામનારા તેમજ દિવ્યાંગજનો સુધી પહોંચવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મળવાપાત્ર આર્થિક લાભો, કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે અને તેમને કોઈપણ સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવામાં આવશે. ૧૯૪૮, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના જવાનો અને વીરનારીઓને ૧૦ દિવસની આ રેલી દરમિયાન સન્માનિત કરવામાં આવશે.
આ સાયકલ રેલી કોણાર્ક કોર્પ્સના વિવિધ ફોર્મેશન, ભારતીય એરફોર્સ, ભારતીય નેવી, ભારતીય કોસ્ટગાર્ડ અને સરહદી વિસ્તારોમાં કોર્પ્સ ઝોનમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવશે. આ રેલી અભિયાન એક રિલે ફોર્મેટમાં યોજવામા આવશે જેમાં પ્રત્યેક ટીમ તેમના નિર્ધારિત કરવામાં આવેલા અંતર સુધી સાયકલ ચલાવશે અને ત્યાંથી આગળના ફોર્મેશનને આગળ વધવા માટે સોંપવામાં આવશે. આ રેલીનું ૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ લોંગેવાલા ખાતે તેનું સમાપન થશે.